
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ બુધવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં હાસ્ય કલાકાર સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે. VHPનું કહેવું છે કે વિવાદાસ્પદ YouTube રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના તાજેતરના એપિસોડમાં અપમાનજનક ટિપ્પણીઓ પર લોકોના રોષને પગલે સમય રૈનાના શો રદ કરવામાં આવ્યા છે.
VHP એ જણાવ્યું હતું કે એપ્રિલમાં સમય રૈનાના શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ ‘BookMyShow’ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી.
સોશિયલ મીડિયા પ્રભાવક રણવીર અલ્હાબાદિયા ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ પરની તેમની વાંધાજનક ટિપ્પણીઓ માટે વ્યાપક ટીકાનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેક પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
ગુજરાત વીએચપીના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એવું લાગે છે કે ગુજરાતમાં સમય રૈના સામે લોકોના ગુસ્સાને કારણે આ ચાર શો રદ કરવામાં આવ્યા છે. હાસ્ય કલાકાર સમય રૈનાના રાજ્યમાં ચાર શો થવાના હતા. આ શો ૧૭ એપ્રિલે સુરતમાં, ૧૮ એપ્રિલે વડોદરામાં અને ૧૯ અને ૨૦ એપ્રિલે અમદાવાદમાં (બે શો) યોજાવાના હતા.
આ શોની ટિકિટ બુધવાર સવાર સુધી BookMyShow પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેને પોર્ટલ પરથી દૂર કરવામાં આવી હોય તેવું લાગે છે. VHP ના પ્રાદેશિક સચિવ અશ્વિન પટેલે એક નિવેદનમાં દાવો કર્યો છે કે તાજેતરના વિવાદને કારણે આયોજકોએ આ શો રદ કરવાનો નિર્ણય લીધો છે.
વિવાદ વચ્ચે, કોમેડિયન સમય રૈનાએ બુધવારે કહ્યું કે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પરથી રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના બધા એપિસોડ દૂર કરી દીધા છે. સમય રૈનાએ એમ પણ કહ્યું કે તેઓ આ કેસની તપાસમાં તપાસ એજન્સીઓને સહકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા અને જાતીય સંબંધો પર વાંધાજનક ટિપ્પણીઓ બદલ રણવીર અલ્હાબાદિયાની ભારે ટીકા થઈ રહી છે. મુંબઈ અને ગુવાહાટીમાં પણ આ મુદ્દા અંગે પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
