
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મને ખૂબ આનંદ થાય છે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે ગુજરાતમાં એક નવો સૂર્યોદય થયો છે. 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. હું તમામ 460થી વધુ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ નવી રાજનીતિને ગુજરાતની જનતા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સ્વીકારશે એવી હું આશા અને પ્રાર્થના કરું છું.





