
એસટી નિગમના હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના હજારો એસટી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. મોંઘવારી ભથ્થા (DA)માં ૩ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ર્નિણય અનુસાર, કર્મચારીઓને અત્યાર સુધી મળતું ૫૫ ટકા મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૮ ટકા થઈ જશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સુખદ અંત આવતા એસટી કર્મચારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
રાજ્ય સરકારના આ કલ્યાણકારી ર્નિણયનો સીધો લાભ એસટી નિગમના તમામ પાત્રતા ધરાવતા નાના-મોટા કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે. આ જાહેરાતમાં માત્ર ચાલુ મહિનાથી જ વધારો નથી મળવાનો, પરંતુ અગાઉના સમયગાળાની વધારાની રકમનું બાકી નીકળતું એરિયર્સ પણ કર્મચારીઓને રોકડેથી ચૂકવવામાં આવશે.
સરકારના આ આર્થિક પૅકેજને કારણે એસટી નિગમની તિજાેરી પર અંદાજે રૂ. ૨૪ કરોડથી વધુનો વધારાનો વાર્ષિક આર્થિક બોજ પડશે, તેમ છતાં કર્મચારીઓના સુખાકારી માટે સરકારે આ બોજ વહાવવાનું નક્કી કર્યું છે. સરકારના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ર્નિણયના ચોક્કસ અમલીકરણ અને એરિયર્સની ગણતરી અંગેના વિગતવાર આદેશો તેમજ ઠરાવ ટૂંક સમયમાં જ નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે.
સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું એ સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને વધતી જતી મોંઘવારી સામે રક્ષણ આપવા અને તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવતું આર્થિક પ્રાવધાન છે, જે દર છ મહિનાની મોંઘવારીના આંકડા અને સાતમા પગાર પંચના ધારાધોરણો મુજબ મૂળ પગાર પર ગણવામાં આવે છે.
એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ આર્થિક લાભ મળવાથી મોંઘવારીના આ સમયમાં એસટી ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓ સહિતના મધ્યમ વર્ગીય પરિવારોને બહુ મોટી આર્થિક રાહત અને મજબૂતાઈ મળશે.





