
સરકારે પ્રતિબંધ લંબાવ્યો ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે
ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. પડોશી દેશના લશ્કરી તથા નાગરિક વિમાનો ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે.
ભારત અને પાકિસ્તાને એરમેનને અલગ-અલગ નોટિસ ટુ એર મિશન જાહેર કર્યું છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા મંગળવારે (૨૩મી સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આદેશ અનુસાર, કોઈપણ પાકિસ્તાની-રજિસ્ટર્ડ વિમાન, જેમાં લશ્કરી વિમાનનો સમાવેશ થાય છે, અથવા પાકિસ્તાની એરલાઇન્સ દ્વારા ખરીદેલ અથવા ભાડે લીધેલા વિમાનનો સમાવેશ થાય છે, તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ૨૨મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ નાગરિકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ આદેશ ૩૦મી એપ્રિલથી અમલમાં આવ્યો હતો. ત્યારથી આ સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે.




