
પ્રદૂષણના ગંભીર અસર.બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં ૪૦%નો વધારો.૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો.શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી ૨૦૦ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા ૧.૨૯ લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૬૧ અને પ્રતિ કલાકના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્વાસની સમસ્યાના ૯૧ હજાર જેટલા કોલ્સ નોંધાયા હતા. આ સ્થિતિએ ૨૦૨૩ કરતાં ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના દર્દીમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ કોલ્સ નોંધાયા હોય તેમાં અમદાવાદ મોખરે છે.
અમદાવાદમાં ૩૧,૧૬૨ જેટલા દર્દી નોંધાયા હતા. આંશિક રાહતની વાત એ છે કે, ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ ઈમરજન્સી કોલ્સમાં સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે. નિષ્ણાતોના મતે શ્વાસની સમસ્યા ધરાવતા પ્રત્યેક વ્યક્તિએ હાલ બહાર નીકળવાનું થાય ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. બદલાયેલી જીવનશૈલી, ઘરની અંદર અને બહાર દૂષિત થતી હવાને કારણે શ્વાસ સંબંધી ગંભીર શ્વસન રોગ થઈ રહ્યા છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગ એટલે કે સીઓપીડી તેમાં સૌથી ગંભીર છે. આપણા દેશમાં સીઓપીડી એક એવી બીમારી છે જે ૩૦ વર્ષની ઉંમર પછી શરૂ થઈ જાય છે. આ બીમારી લગભગ ૧૫ વર્ષ સુધી ધૂમ્રપાન કરનારા અથવા આટલા જ સમય સુધી બાયોમાસ ઈંધણોના સંપર્કમાં રહેવાથી થાય છે.




