
આંગણવાડી બહેનોના હિતમાં સરકારનો ર્નિણયદરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.૨૪૦૦ આપવાનો ર્નિણયભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશાગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂ.૨૪૦૦ની મર્યાદામાં રકમ ચૂકવવાનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણયથી વર્ષોથી આંગણવાડી બહેનોને ભોગવવી પડતી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા ઊભી થઈ છે.
અત્યાર સુધી રાજ્યભરની આંગણવાડી બહેનોને બાળકોના પોષણ માટે જરૂરી અનાજ, દાળ, તેલ સહિતનો જથ્થો ગોડાઉનમાંથી પોતાના ખર્ચે લાવવો પડતો હતો. ઘણા વિસ્તારોમાં ગોડાઉન અને આંગણવાડી કેન્દ્ર વચ્ચેનું અંતર વધુ હોવાથી વહન ખર્ચ બહેનોના ખિસ્સેથી જ ચૂકવવો પડતો હતો. ખાસ કરીને ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર બની હતી. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા છેલ્લા લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ તેમજ સંબંધિત અધિકારીઓને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, આંગણવાડી બહેનોને મળતી મર્યાદિત માનદ વેતનમાંથી આ પ્રકારનો ખર્ચ ઉઠાવવો ન્યાયસંગત નથી. આ માંગણીને લઈને સંગઠન દ્વારા ગાંધીનગરમાં બેઠકો, રેલી અને આંદોલનો પણ યોજાયા હતા. ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી સત્યાગ્રહ છાવણી અને ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા શ્રમિક આંદોલન બાદ સરકાર પર દબાણ વધ્યું હતું. ત્યારબાદ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સતત ફોલોઅપ કર્યો હતો, જેના પરિણામે હવે આ હકારાત્મક ર્નિણય લેવામાં આવ્યો છે.
સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવ મુજબ, હવે દરેક આંગણવાડી કેન્દ્રને અનાજના જથ્થા વહન માટે રૂ.૨૪૦૦ સુધીની રકમ આપવામાં આવશે. આ રકમ સીધી રીતે બહેનોને સહાયરૂપ બનશે અને તેમના ઉપરથી નાણાકીય બોજ ઘટાડશે. પરિણામે આ ર્નિણયથી આંગણવાડી બહેનોને ભોગવવી પડતી આર્થિક મુશ્કેલી હવે દૂર થશે તેવી આશા ઊભી થઈ છે.




