સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ દ્વારા સુરસાગર ડેરી અને સહકારી દૂધ મંડળીઓ સામે વિરોધ નોંધાવતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, સુરેશભાઈ જોગરાણા, બીજલભાઇ જોગરાણા, મયુરભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ તથા વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોની મુખ્ય રજૂઆત છે કે ચાલુ વર્ષ ૨૦૨૫/૨૬માં એક જ રાજ્ય અને સમાન ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં, આણંદ જેવા અન્ય જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ ₹૨૫ (૨૪ થી ૨૫%) ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર ₹૫ (૫%) જ ચૂકવાય છે. આ ઉપરાંત, મંડળીઓ દ્વારા ગ્રાહક દીઠ સવાર-સાંજ ૧૦૦-૧૦૦ ગ્રામ દૂધ સેમ્પલ ફરજિયાત લેવામાં આવે છે. પશુપાલકોએ માંગ કરી છે કે વહીવટી ખર્ચ કે અન્ય ગેરરીતિઓની તપાસ કરવામાં આવે અને અન્ય જિલ્લાઓની સરખામણીએ સુરેન્દ્રનગરના દૂધ ઉત્પાદકોને પણ ન્યાયી વળતર અને વધારાનો ભાવ ફેર ચૂકવવામાં આવે.
આમ આદમી પાર્ટીના નેતા અને પશુપાલક રમેશ મેરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાણીની બોટલ ₹૨૦માં મળે છે ત્યારે શુદ્ધ દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળતા નથી, જે પશુપાલકોને ધંધો છોડવા મજબૂર કરી રહ્યું છે. મોંઘા પશુ આહાર તેમજ લીલા-સુકા ઘાસચારાના ખર્ચ સામે આ ઓછો ભાવ મળવાથી પશુપાલન વ્યવસાય ભારે ખોટમાં જઈ રહ્યો છે, જેનાથી પશુપાલકો અને સમાજ ભેગા થઈને બનાવટી ફેક્ટરીના દૂધના બદલે શુદ્ધ ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે લડી રહ્યા છે. દૂધ મંડળીઓના વહીવટ અને દૂધ સંઘના આયોજન સામે વિરોધ નોંધાવતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં યોગ્ય ભાવ આપવામાં નહીં આવે, તો દરેક સમાજના પશુપાલકો એકઠા થઈને સરકાર અને મંડળીઓ સામે ઉગ્ર મોરચો માંડશે.





