
વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની ૨૦૧૯થી અત્યાર સુધી ૭,૪૦૦ નક્સલીઓની ધરપકડ કરાઈ
૨૦૧૦ની તુલનામાં નક્સલી હિંસામાં ૮૮%નો ઘટાડો : હાલ દેશના ફક્ત આઠ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે: ગૃહ રાજ્યમંત્રી
કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્યું કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્સલવાદ સંબંધિત હિંસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિંસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે.એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું કે ૨૦૨૫માં સુરક્ષા દળોએ ૩૬૪ નક્સલીઓને નિષ્ક્રિય કર્યા હતા, તેમજ ૧,૦૨૨ નક્સલીઓની ધરપકડ કરી અને ૨,૩૩૭ નક્સલીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.
દેશની આંતરિક સુરક્ષાને ગંભીર પડકાર આપતો ડાબેરી ઉગ્રવાદ નોંધપાત્ર રીતે કાબૂમાં આવી ગયો છે અને તે માત્ર થોડાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહ્યો છે.કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૧૮માં ૧૨૬ જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા, તે સંખ્યા ઘટીને ડિસેમ્બર ૨૦૨૫માં માત્ર ૮ રહી ગઈ છે, જેમાંથી ફક્ત ૩ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.




