
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો.બાંગ્લાદેશની જેમ ભારતને પણ મળશે ઝીરો ટેરિફનો લાભ.ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ.ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જાેવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંકેત આપ્યો કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા બાદ શૂન્ય ટેરિફ (Zero US Tariff) ની સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદનથી ભારતીય કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદેશ ટ્રેડ ડીલે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા છે.
પિયુષ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે India-US Trade Dealને લઈ રાજકીય વર્તુળોમાં પણ શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલ આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે. હવે પિયુષ ગોયલે તેમના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે, તેમણે સંસદમાં વધુ એક જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની તુલનામાં બાંગ્લાદેશને ટ્રેડ ડીલથી વધુ ફાયદો થયો છે.
વાણિજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, જે પ્રકારે બાંગ્લાદેશને સુવિધા મળી છે કે જાે અમેરિકાથી કાચો માલ ખરીદવામાં આવે અને તેને પ્રોસેસ કરીને કપડાં તૈયાર કરીને નિકાસ કરવામાં આવે, તો તેના પર કોઈ ટેરિફ લાગતો નથી. તેમણે ઉમેર્યું કે, ભારતને પણ આ જ પ્રકારની સુવિધા મળશે.
આ સંબંધમાં વિગતવાર માહિતી આપતા પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, આ ભાગ ગયા અઠવાડિયે બન્ને દેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કમાં કદાચ સામેલ ન હોઈ શકે, પરંતુ તે અંતિમ કરારમાં ચોક્કસપણે સામેલ હશે. તેમણે કહ્યું કે, હાલમાં અમારો વેપાર કરાર તૈયાર થઈ રહ્યો છે અને જ્યારે આ વચગાળાનો કરાર અંતિમ સ્વરૂપ લેશે, ત્યારે તમને તેની દરેક ઝીણવટભરી વિગતો સમજામાં આવશે.
ભારત માટે પીયૂષ ગોયલનું આ નિવેદન અત્યંત મહત્વનું છે, કારણ કે અંતિમ કરારમાં આ જાેગવાઈ ઉમેરવાથી ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત મળશે. નોંધનીય છે કે, અમેરિકા ભારતના કાપડની નિકાસ માટે સૌથી મોટું બજાર છે.
દેશમાંથી નિકાસ થતા કુલ કાપડ અને વસ્ત્રોના શિપમેન્ટનો ૩૦% ભાગ અમેરિકા પહોંચે છે. ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ બાદ કાપડ નિકાસકારોમાં ખુશી લહેર જાેવા મળી, કારણ કે ટ્રમ્પે ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરી દીધો હતો. જાે કે, આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે અમેરિકન કપાસમાંથી બનેલા બાંગ્લાદેશી વસ્ત્રો પર ઝીરો ડ્યુટી લાગશે. આનાથી એવી ચિંતા વધી હતી કે, જાે બાંગ્લાદેશી કપડાં પર કોઈ ટેક્સ નહીં લાગે, તો ભારતીય કપડાં પર ૧૮% ટેક્સ હોવાને કારણે આપણે સ્પર્ધામાં ટકી શકીશું નહીં.
પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારનું માળખું હાલમાં તૈયાર થઈ રહ્યું છે અને વચગાળાનો કરાર પૂર્ણ થયા બાદ તેની તમામ શરતો જાહેર કરવામાં આવશે. તેમણે દેશના ખેડૂતોને પણ આશ્વાસન આપ્યું હતું કે આ વેપાર કરારમાંથી ૯૦ થી ૯૫ ટકા કૃષિ ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી ભારતીય કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન થાય.
સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી ભારતીય નિકાસકારોને નવી તકો મળશે અને સાથે સાથે ખેડૂતોના હિતોનું પણ પૂરતું રક્ષણ થશે. કુલ મળીને, ભારત–અમેરિકા વચ્ચેનો આ ઝીરો-ડ્યુટી સોદો દેશના કાપડ ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્ર માટે હકારાત્મક સાબિત થવાની આશા છે.




