
આજનાં અત્યંત તનાવ ભર્યા વાતાવરણમાં જીવનને સકારાત્મક બનાવવાં માટે સદગુરુ કૃપાથી આ કલમથી કંઈ કેટલુંય લખાયું!; એટલે 2020 માર્ચ કોરોનાની મહામારી સમયથી સદગુરુ કૃપાથી ચિંતનની ક્ષણે લગભગ દરેક વિષય પર પ્રકાશ પાડી જીવનને અજવાળું પ્રદાન કરવાં મથી રહ્યું છે. આજે 1/3 2026 છે, અને આ વખતે વિમેન્સ વીક માટે આઠ મહિલા પ્રતિભા પર લખવું એવું નક્કી કર્યું! આપણે સૌ જાણીએ છીએ કે શક્તિ કહો, નારી કહો, કે મહિલા કહો એનાં વગર અસ્તિત્વ રુપે અવતરવું અને અવતર્યા બાદ જીવનને ટકાવી રાખવાં મનુષ્યને કેટલીય પ્રકારની શક્તિ જોઈએ, અને કઠિનમાં કઠિન સમયમાં સકારાત્મક શક્તિ સ્તોત્ર તરીકે મહિલાઓએ બહુ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. આમ તો સમગ્ર વિશ્વની મહિલા નિષ્કામ અને નિઃસ્વાર્થ એવાં ઉમદા કાર્ય માટે વંદનીય છે જ, પણ એનો એટલો પરિચય ન હોવાથી, આપણે આપણી સંસ્કૃતિની સંસ્કાર ગાથા ગાતાં ભારતનાં નારી રત્ન વિશે વાત કરીશું. આજે તો મહિલાઓ શિક્ષણની રીતે ખૂબ આગળ વધી ગઈ છે, પણ એક દોર હતો જ્યારે કન્યા શિક્ષણને મહત્વ અપાતું નહોતું! અને આવાં સમયમાં એક ગામડાની મહિલાએ અધ્યાત્મની વાતો કરી અને એ પણ સામાન્ય થી સામાન્ય સમજ વાળાને સમજાઈ જાય એ રીતે, અને એ મહિલા એટલે ગંગા સતી. તો આપણે આજે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાદ વહેંચનાર પરમ વિદુષી એવા મા ગંગા સતીનાં ચરણે શબ્દ રુપી ભાવાંજલિ અર્પિત કરીએ.
ગુજરાતી સાહિત્યમાં જેનું નામ મોખરે છે, એવાં ગંગા સતીનો જન્મ મધ્યકાલીન સમયમાં ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકાનાં રાજપરા ગામમાં રાજપૂત કુળમાં થયો હતો. એમનાં માતાપિતાનું નામ રૂપાળી બા અને પિતાનું નામ ભાઈજી જેસાજી સરવૈયા હતું. એમના લગ્ન ભાવનગરના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામનાં કહળસંગ ગોહિલ બાપુ સાથે થયાં હતાં. આપણાં સાહિત્યમાં ગંગા સતીનાં કેટલાય ભજનો પ્રસિદ્ધ છે, અને કેટલાંય વિદ્યાર્થીઓ એ ગંગા સતીનાં આધ્યાત્મિક ભજનો પર પીએચડી કર્યું છે. એમનાં ભજનો પાનબાઈ ને સંબોધીને છે! કોઈ કહે છે પાનબાઈ એમનાં પુત્ર અજોભાની પત્ની છે, તો કોઈનો મત લગ્ન સમયે પિયરથી એમની સાથે આવેલ ગોલારણ હતી, પણ આપણને એનાથી મતલબ હોવો જોઇએ નહીં! કારણ કે આપણને આટલું ઉચ્ચ જ્ઞાન અને એ પણ એકદમ સહજ અને સરળ શબ્દોમાં મળ્યું, એનું જ મહત્વ છે. એમને રાજબા અને હરિબા બે દિકરી અને અજોભા નામે એક દીકરો હતો.
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ.. જેવા પ્રસિદ્ધ પદો આપણને મળ્યાં એની પાછળનો ઈતિહાસ રોચક છે. ગંગા સતીનાં પતિ કહળસંગ બાપુને અમુક સિદ્ધ મંત્રનો આવિર્ભાવ થયો હતો. એકવાર એક છોકરાને સર્પ કરડ્યો અને દંશ ઉતારવા એમણે મંત્રનો પ્રયોગ કર્યો, અને છોકરો જીવીત થયો. એકવાર એક ગાય જીવીત થઈ, આમ ચમત્કારિક ઘટના ઘટતાં લોકો કહળસંગ બાપુની ભગવાન જેમ પૂજા કરવાં લાગ્યાં, અને એટલે કહળસંગ બાપુને પાછળથી બહુ પસ્તાવો થયો કે, આવું કરવાથી સમાજમાં આવી સિદ્ધિનાં દૂરપયોગને પ્રોત્સાહન મળશે, અને એમણે સમાધિ લેવાનું નક્કી કર્યું. ગંગા સતીએ પણ એમની સાથે જ સમાધિ લેવાનું નક્કી કર્યું, પરંતુ એમણે એને કહ્યું કે હજી પાનબાઈનું આધ્યાત્મિક જ્ઞાન અધૂરું છે! માટે ગંગા સતી એ પાનબાઈને 52 દિવસ સુધી એક એક પદ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન આપ્યું, અને 53 માં દિવસે પછી એમણે પણ સમાધિ લીધી એવી વાત છે. આ પદ કે જ્ઞાન જે ગંગા સતી અને પાનબાઈનાં સંવાદ રુપે આપણે ત્યાં પુસ્તકમાં સચવાયેલું પડ્યું છે.
ગંગા સતીનાં ભજનોની ખાસિયત એ છે કે, આ ભજનો ભક્તિ પ્રેરક હોવાં છતાં એમાં એકપણ ભગવાનનો સંકેત નથી, પરંતુ મોટેભાગે આતંર બાહ્ય પ્રકૃતિમાં સામાન્ય રુપે રહેલા ભગવાનનો મહિમા ગાયો છે! જેમાં સદગુરુ કે સાધુ નો મહિમા છે, તો ક્યાંક ઉચ્ચ વૈજ્ઞાનિક સત્યનો નિર્દેશ પણ છે, અને સૌથી મહત્વનું એમણે તન અને મનનાં બળ તરફ સંકેત કરી માનવીને જાગૃત કર્યા છે.
૧)વીજળીનાં ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ..
નહીં તો અચાનક અંધારા થાય રે…
જોત રે જોતામાં દિવસો વહી ગયાં રે..
એકવીસ હજાર છસોને કાળ ખાયે જી રે..
૨)મેરુ રે ડગે પણ જેનાં મનડા ડગે નહીં પાનબાઈ.
મરને ભાંગી પડે બ્રહ્માંડ રે..
વિપત્તિ પડે તોય વણસે નહીં,
સોઈ હરિજન નાં પ્રમાણ રે..
૩) અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં,
ને ન રહેવું ભેદવાદી નાં સાથ રે..
કાયમ રહેવું એકાંતમાં..
ને માથે સદગુરુનો હાથ રે..
૪)આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ..
વચનથી અધિક નહીં કાંઈ રે..
વચન જાણ્યાં થકી શુદ્ધ પ્રેમ જાગે રે.
ને સુરતા નિર્ગુણમાં સમાય રે..
૫)એકાગ્રચિત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે..
એ ઇતિહાસ સાંભળશો ત્યારે,
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે..
૬)હરખ ને શોકની આવે નહીં હેડકી ને‚
આઠે પહોર રહે આનંદજી
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.
૭)સદગુરુ વચનનાં થાવ અધિકારી પાનબાઈ.
મેંલી દીયો મનના અભિમાન રે..
આળસ મેલીને તમે આવો મેદાનમાં ને,
સમજો સદગુરુ ની શાન રે..
૮)શીલવંત સાધુ ને વારેવારે નમીએ પાનબાઈ,
જેના બદલે નહીં વર્તમાન રે..
ચિત્તની રે વૃત્તિ જેની સદા નિરમળી ને,
જેને મહારાજ થિયા મે’રબાન રે..
૯)કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ,
સમજીને રહીએ ચૂપ રે..
શરણે આવીને કરે ધનનો ઢગલો,
ભલે હોય મોટો ભૂપ રે.
આવાં એક એકથી ચડિયાતા ભજનો આપનાર ગંગા સતી, ઓગણીસમી સદી એટલે કે ઈ.સ 1846 માં જન્મ થયો, અને માત્ર 49 વર્ષની ઉંમરે એટલે કે 1894 માં સમાધિ લીધી. પહેલાંની સ્ત્રીઓ પતિ પાછળ ચિતા પર ચડીને પોતાની જાતને બાળીને ભસ્મ કરી નાખતી, અને એ રીતે ગંગા એ પણ એમનાં પતિ કહળસંગ બાપુ પાછળ સમાધિ લીધી, એટલે આપણે એને ગંગા સતી કહીએ છીએ, એમની સમાધિ પછી બે દિવસે પાનબાઈ એ પણ સમાધિ લીધી, અને આજે પણ સમઢિયાળામાં એમની સમાધિ જોવા મળે છે. ગંગા સતી આપણને પોતીકી લાગે છે, કારણ કે સાવ એકસોને ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંની આ વાત છે. એમણે ચોપડીનો કોઈ અભ્યાસ કરેલ ન હોવાં છતાં, એક એક શબ્દ આધ્યાત્મિકતાથી સભર છે! પતિ પત્ની બંને ભક્તિ અને વૈરાગ્યનાં પથિક હોવાથી ગામ બહાર એક ઝૂંપડી બનાવીને રહેતા હતા! ભૂધરદાસજી નામનાં એક સાધુએ ગંગા સતીનાં આ ભજનોને લિપિ બદ્ધ કર્યા! એટલે આપણને પણ આ આધ્યાત્મિક પદો મળ્યા ,અને ઈતિહાસ સુધી પહોંચ્યાં. સદગુરુ કૃપા રહેશે તો એમનાં પદ પર ચિંતન કરીશું,પણ અત્યારે ફક્ત એક લાઈન “એકવીસ હજાર છસો ને કાળ ખાય”! માનવી દર એક મિનિટમાં પંદર શ્વાસ લે છે, અને એ રીતે આખાં દિવસનાં, એકવીસ હજાર છસો શ્વાસ થયાં, અને કાળ એટલે મૃત્યુ એને ખાઈ જાય છે. નરસિંહ મહેતાનાં પદ માં પણ વેદ વેદાંતી વાતો વણેલી હોય છે,! આનાં પરથી સ્પષ્ટ નક્કી થાય છે કે, આવાં ગૂઢ તત્વોથી ભરેલા જ્ઞાન માટે યુનિવર્સિટીમાં જવું જરૂરી નથી. તો ગંગા સતીના ચરણોમાં શત શત વંદન કરીએ, અને એમનાં ભજનો થકી આધ્યાત્મિક સફર ખેડી શકીએ, એમણે પીરસેલું અમૃત પચાવીને આપણે પણ આત્મબોધ પ્રાપ્ત કરી શકીએ, તો એમનો આ જન્મ શુભ મંગલની સર્વોપરિતા માટે સફળ થયો ગણાય. જય ભવાની.




