
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આજના સમયમાં ગુજરાતમાં જે રીતે રાજકારણ કરવામાં આવી રહ્યું છે, તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે, ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે અને તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને અપીલ કરી છે કે ગુજરાતમાં આવી રાજનીતિ દેશની લોકશાહી, દેશના ભવિષ્ય અને દેશના બાળકો માટે યોગ્ય નથી.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતુ કે આવી રાજનીતિ યોગ્ય નથી. કોઈપણ રાજકીય પક્ષને પોતાનો અવાજ ઉઠાવવાનો, પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને જનતાને તેના પર વિશ્વાસ કરવાનો અધિકાર છે. જનતા બાબતે શબ્દો બોલવાનો તેમનો અધિકાર છે. તમે આ રીતે સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટી જેવા વિરોધ પક્ષના કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરીને કાર્યવાહી કરશો તો જનતા માટે અવાજ કોણ બનશે? સાચી વાત તમારા સુધી કેવી રીતે પહોંચશે? મુખ્યમંત્રી સુધી સાચી વાત કોણ પહોંચાડશે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટી પર થયેલા તમામ પ્રકારના દબાણ અંગે અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે અને આ માધ્યમથી તે પત્ર ગુજરાતના લોકો તથા દેશના લોકો સુધી પહોંચે તેવી વિનંતી કરવામાં આવી છે.





