
રોડ સેફ્ટી નિયમોમાં આવશે બદલાવ.સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ.હવે વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ ઝોન જગ્યાઓ પર જ ઉભા રહી શકશે : ર્નિણય રોડ અકસ્માતોમાં ઘટાડો માટે લેવાયો.ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટેના ર્નિણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો માત્ર સરકાર દ્વારા નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ ઊભા રહી શકશે. આ નિયમના અમલ માટે ATMS, GPS ટ્રેકિંગ અને ઈ-ચલાન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
નવા આદેશ અનુસાર હવે કોઈપણ ટ્રક અથવા કમર્શિયલ વાહન હાઈવેની મુખ્ય લેન અથવા રોડના કિનારે ઊભું રહી શકશે નહીં. માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળો, લેભાય (Lay-by) અથવા અધિકૃત જગ્યાઓ પર જ વાહનો પાર્ક કરી શકાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે ઉભા રહેલા ટ્રકો અકસ્માતનું મોટું કારણ બને છે.
આ ર્નિણયને અસરકારક રીતે લાગુ કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે.ATMS (Advanced Traffic Management System), GPS આધારિત મોનિટરિંગ અને ઈ-ચલાન સિસ્ટમ દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે તરત કાર્યવાહી થઈ શકશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) રાજ્ય પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગને સાથે મળીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ જિલ્લાઓને આ નિયમ અમલમાં મૂકવા માટે ૬૦ દિવસની સમય મર્યાદા આપી છે.
કોર્ટે હાઈવે આસપાસના અતિક્રમણ પર પણ કડક વલણ અપનાવ્યું છે. હવે હાઈવેની સીમામાં નવા ઢાબા અથવા કમર્શિયલ દુકાનો બનાવવાની મંજૂરી નહીં આપવામાં આવે. પહેલેથી આવેલા ગેરકાયદેસર બાંધકામોને પણ ૬૦ દિવસની અંદર દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ, હાઈવે નજીક આપવામાં આવેલા તમામ લાઈસન્સની સમીક્ષા કરવામાં આવશે. જિલ્લા સ્તરે ખાસ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે જે સતત દેખરેખ રાખશે અને જરૂરી સુધારાત્મક પગલાં લેશે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે અકસ્માત-પ્રવણ વિસ્તારોમાં સારી લાઈટિંગ, સીસીટીવી અને નિયમિત અંતરે ટ્રક પાર્કિંગ માટે સુરક્ષિત લેભાય સુવિધાઓ વિકસાવવામાં આવે. આ પગલાંથી હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે. સુપ્રીમ કોર્ટનો આ ર્નિણય દેશના હાઈવેને વધુ સુરક્ષિત બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કડક નિયમો, ટેકનોલોજીનો ઉપયોગ અને તમામ એજન્સીઓની જવાબદારી સાથે હવે રોડ સુરક્ષા વ્યવસ્થામાં મોટો બદલાવ આવવાની શક્યતા છે.





