
વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે.સોમનાથ-વડોદરાનાં વિશેષ કાર્યક્રમોમાં પીએમ આપશે હાજરી.મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તથા પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે. ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૧૦ મેના રોજ મોડી રાત્રે જામનગરમાં રાત્રી રોકાણ કરશે. જે બાદ ૧૧ મેના રોજ સવારે ૧૦:૧૫ વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે.
આ મહોત્સવ સોમનાથના પુન:નિર્મિત મંદિરના ઉદ્ઘાટનના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી અહીં વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ જેવી મંગલ વિધિઓ સંપન્ન કરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે તેઓ સોમનાથના આધ્યાત્મિક મહત્વને દર્શાવતી ખાસ ટપાલ ટિકિટ અને સ્મરણાત્મક સિક્કો પણ બહાર પાડશે.
સોમનાથમાં દર્શન કર્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચશે, જ્યાં સાંજે ૬ વાગ્યે તેઓ સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે.
આ આધુનિક શૈક્ષણિક સંકુલમાં ૧,૦૦૦ છોકરાઓ અને ૧,૦૦૦ છોકરીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી અહીં ઇ-લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ ડાઇનિંગ હોલ જેવી સુવિધાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને રહેવા અને અભ્યાસ માટે એક ઉત્કૃષ્ટ વાતાવરણ પ્રાપ્ત થશે.





