આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વીજ લાઈનને લઈને આંદોલન ચાલી રહ્યું છે અને મોરબીમાં મોટાપાયે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીઓના હિતમાં છે, એવી વાત ખેડૂતોએ પોતે ઉચ્ચારી છે અને ખેડૂતોએ આ આંદોલનને ચાલુ રાખ્યું છે.
પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતું કે, આજથી લઈને ત્રણ દિવસ સુધી પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું પોતે આવતીકાલે એટલે કે 18 જુલાઈના રોજ પડધરી ખાતે આ ઉપવાસ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચીશ અને આ ઉપવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગુજરાતના ખેડૂતોની ટ્રાન્સમિશન લાઈનને લઈને જે લડત ચાલી રહી છે તેને સમર્થન આપીશ. મારી સાથે આમ આદમી પાર્ટીના કિસાન નેતા પંકજભાઈ સહિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. અમે તમામ લોકો ખેડૂતોના મુદ્દાને સમર્થન આપીશું.





