આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે ભાજપ સરકાર સામે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે લોકશાહી દેશમાં કોઈ સરમુખત્યારશાહી ન ચાલે, પરંતુ ભાજપ સરકાર પોતાના ઘર ભરવા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા નીતિમત્તાના નામે ગરીબ કર્મચારીઓનું લોહી ચૂસી રહી છે. કર્મચારીઓને રોજના માત્ર ₹.૪૯૫ થી ₹.૪૯૭ આપવામાં આવે છે, જેમાં કોઈનું ઘર ચાલી શકતું નથી. ટેન્ડરની શરતોમાં ₹.૩ કરોડ જેવું ઊંચું ટર્નઓવર રાખીને નાના કોન્ટ્રાક્ટરોને બાદ કરી દેવાય છે. હોસ્પિટલોમાં જ ₹.૪૨૫ થી ₹.૪૪૭ કરોડનું અને સમગ્ર રીતે ₹.૧૦૦૦ કરોડથી વધુનું કોન્ટ્રાક્ટ નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાંથી સરકારી ફંડ અને ભાજપના નેતાઓ સુધી ટકાવારી જાય છે. દિલ્હીના જંતર-મંતર પર યુવાનોની જિદ સામે જેમ સરકારને ઝૂકવું પડ્યું હતું, તેમ જ જો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ નહીં કરાય તો હોસ્પિટલના કર્મચારીઓ વિરોધ અને હડતાલ પર ઉતરશે.
વિનોદ પરમારે વધુમાં ઉમેર્યું કે છેલ્લા ૫ વર્ષથી હોસ્પિટલોમાં એક જ માનીતા કોન્ટ્રાક્ટરને કન્ટિન્યુ રાખીને મલાઈ ખાવામાં આવી રહી છે. ઉપર બેઠેલા અધિકારીઓ સાથે આ કોન્ટ્રાક્ટરની કેટલી સાઠગાંઠ છે અને કેટલા રૂપિયાની લેવડદેવડ થઈ છે, તેની તેઓ ટૂંક સમયમાં જ RTI કરીને માહિતી બહાર લાવશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરાવશે. જે ગરીબ કર્મચારીઓ દિવસ-રાત કચરો-મેલો ઉપાડીને હેરાન થાય છે, તેમને માત્ર ₹.૪૯૭ મળે છે જ્યારે ઉપર બેઠેલા લોકો મલાઈ ખાય છે. જો સરકાર આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ નહીં કરે તો હોસ્પિટલનું સમગ્ર તંત્ર ખોરવાઈ જશે, આરોગ્ય મંત્રી અને સત્તાધીશોએ રાજીનામા આપવા પડશે અને સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઈ જશે.





