ખ્વાઝા આસિફની હુથીઓને ચેતવણી સાઉદી પર થનાર હુમલો એ પાકિસ્તાન પર જ હુમલો ગણાશે મક્કા કરાર હેઠળ, જાે સાઉદી અરેબિયા પર હુમલો થાય તો પાકિસ્તાન તેની સંરક્ષણ જવાબદારી નિભાવશે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સાઉદી અરેબિયા પર થઈ રહેલા હુમલાઓ અંગે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દરેક હુમલાનો જવાબ એ જ આક્રમક શૈલીમાં આપવો જરૂરી નથી. તેમના જણાવ્યા અનુસાર, મક્કા કરાર પોતે જ એક મોટો પ્રતિબંધક(ડિટરન્ટ) સાબિત થઈ શકે છે. જાે સાઉદી અરેબિયા પર વગર કારણે હુમલો કરવામાં આવશે અથવા યમનનો તણાવ ત્યાં સુધી લંબાશે, તો આ કરાર આપોઆપ અમલમાં આવી જશે અને પાકિસ્તાન પોતાની સંરક્ષણ ક્ષેત્રની જવાબદારી ચોક્કસપણે નિભાવશે.
ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ કરારથી સંપૂર્ણપણે બંધાયેલું છે. તેમણે ઉમેર્યું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો હંમેશાં જરૂરી નથી હોતો. એટલે કે દરેક આક્રમક પગલાના જવાબમાં એ જ પ્રકારે આકરી જવાબી કાર્યવાહી કરવી અનિવાર્ય નથી. તેમણે આ બાબતને એક સુઆયોજિત રણનીતિ ગણાવી હતી. જેનો મુખ્ય હેતુ વિસ્તારમાં બિનજરૂરી તણાવ વધારવાથી બચવાનો છે. જાેકે, તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે જરૂર પડવાના સમયે પાકિસ્તાન પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ રાખશે.
મક્કા કરાર અંગે વધુ વિગતો આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ કરારમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ કે શંકાને સ્થાન નથી. આ કરાર હેઠળ જાે ૩ દેશોમાંથી કોઈ પણ ૧ દેશ પર હુમલો થાય છે. તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. આ એક સંપૂર્ણપણે સંયુક્ત સંરક્ષણ કરાર છે, જેમાં ભાગીદાર દરેક દેશની સમાન જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ માટે કોઈ વધારાની સ્પષ્ટતાની જરૂર નથી, કારણ કે કરારની શરતો અગાઉથી જ નિર્ધારિત થયેલી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે યમનમાં વધી રહેલા તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં ભારે ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.
ખ્વાજા આસિફના આ નિવેદનથી સંકેત મળે છે કે પાકિસ્તાન હાલના તબક્કે સંયમ જાળવવાની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ તે જ સમયે સાઉદી અરેબિયાની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટેની પોતાની પ્રતિબદ્ધતામાંથી પાકિસ્તાન પાછું હટશે નહીં.




