
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણી જગ્યાએ હોર્ડિંગ્સમાં અને જાહેરાતોમાં જોયું કે “ભાર વગરનું ભણતર” આપવાની વાત થઈ રહી છે અને આજે ગુજરાત સરકારે સાચે જ સાબિત કરી આપ્યું કે ગુજરાતની સરકારી સ્કૂલમાં “ચોપડા વગરનું ભણતર” થવા જઈ રહ્યું છે. સરકારી શાળાનું વેકેશન પૂરું થયું અને તેને દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તેમના પુસ્તકો મળ્યા નથી. અમને એ પણ શંકા છે કે હજુ સુધી પુસ્તકો છાપવાની શરૂઆત પણ નથી થઈ. જ્યારે બીજી બાજુ એ જ પુસ્તકો જો બજારમાં ખરીદવા જઈએ તો તાત્કાલિક મળી જાય છે. આનાથી સાબિત થાય છે કે સરકારની પુસ્તકો આપવાની નીતિ જ નથી, સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ નથી અને સરકાર પાસે કોઈ આયોજન પણ નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણના નામે તાઈફાઓ કરવા હોય, મોટા મોટા કાર્યક્રમો કરવા હોય તો સરકાર પાસે તાત્કાલિક એની ટીમ આવી જાય છે, તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય છે અને તાત્કાલિક આયોજનો થઈ જાય છે. પરંતુ બીજી બાજુ આટલું લાંબુ વેકેશન ગયું પરંતુ એ વેકેશન દરમિયાન આ લોકો વિદ્યાર્થીઓ સુધી ચોપડા કઈ રીતે પહોંચાડવા, તેની વ્યવસ્થા ન કરી શક્યા, ચોપડા ક્યારે છાપવા અને કઈ રીતે વિતરણ કરવું તેની વિચારણા ન કરી શક્યા, જેના કારણે આજે વેકેશન પૂરું થવાની દસ દિવસ થયા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે ચોપડા પહોંચ્યા નથી. ગુજરાતની સરકારી સ્કૂલમાં ભણતા કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મારી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સહિત તમામ લાગતા વળગતા તંત્રના અધિકારીઓને વિનંતી છે કે બાળકોનું ભવિષ્ય બગાડો નહીં, તમારા લોકોના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાય છે તો તાત્કાલિક ધોરણે ચોપડા પૂરા પાડો, પુસ્તકો પૂરા પાડો અને જે ચોપડા બજારમાં મળે છે એ જ ચોપડા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને પહોંચાડીને સહાય કરો.





