
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિતના ને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેના વિરોધમાં તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત આમ આદમી પાર્ટીના નેતા તથા આદિવાસી સમાજના આગેવાન દયારામ વસાવા, બાબુભાઈ ડામોર, રાકેશ બારીયા અને નરેશ બારીયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સાથે સાથે સમસ્ત સમાજના લોકો મળીને કુલ 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ “સામાજિક જનસમર્થન સભા”માં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ લઈને નીકળેલા ચૈતરભાઈ વસાવાને ત્રણ વખત જેલમાં નાંખવામાં આવ્યા, માટે હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે. આજે અહીંયા ઉપસ્થિત થયેલા એક લાખ લોકોને જોઈને હું સમજી ગયો કે શા માટે ભાજપ આદિવાસી સમાજને જાગૃત થવા દેતું નથી. કારણ કે ભાજપને ખબર છે કે, એક ચૈતર વસાવા જાગૃત બનીને, ભણી ગણીને અને ધારાસભ્ય બનીને ભાજપની ઊંઘ હરામ કરી શકે છે તો જો આટલા એક લાખ યુવાનો ભણી ગણીને આગળ વધે તો 100% તેઓ ભાજપના મૂળિયા ઉખાડી નાખે એમ છે. મેં ગઈકાલે જ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનને કહ્યું હતું કે તમારા પર જે જવાબદારી આવી પડી છે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમ આદમી પાર્ટીના એક એક નેતાઓ અને કાર્યકર્તાઓ તમારા માટે ભાઈ બનીને ઉભા છે. ચૈતરભાઈનો ગુનો શું હતો? એમનો ગુનો એ હતો કે એમણે જળ, જંગલ અને જમીન મુદ્દે સરકાર સામે બાથ ભીડી. જ્યાં સુધી ચૈતરભાઈ છે ત્યાં સુધી કોઈ કંપનીઓની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે. આજે ભલે ચૈતરભાઈ જેલમાં હોય પરંતુ આજની સભાના ફોટા જયારે તેઓ જોશે ત્યારે તેમની છાતી ગજગજ ફૂલશે. ચૈતરભાઈ એકલા નથી આખી ટાઈગરની સેના સાથે છે, અને હું ખાતરી આપું છું કે ચૈતરભાઈને વધારે સમય સુધી જેલમાં રહેવા દઈશું નહીં. ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે પરંતુ વેચનારાઓની સજા થતી નથી, મેં સાંભળ્યું છે કે ભાજપના એક નેતાએ વનકર્મીને બેટે ને બેટે માર માર્યો હતો. છતાં પણ તેમને સજા થઈ નથી. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે એટલા માટે તેમને દબાવવાની કોશિશો થઈ રહી છે. હું ખાતરી આપું છું કે હું ઈસુદાન ગઢવી પોતે, ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા સહિત તમામ લોકો અમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે છીએ. અમારા વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ એમ તમામ જગ્યાએ ગોઠવાઈ ગઈ છે, બસ હવે આદિવાસી સમાજે એકતા જાળવવાની છે, કારણ કે મેં ગઈકાલે સાંભળ્યું કે આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે. ચૈતરભાઈને સજા તો અપાવી દીધી પરંતુ હવે એ લોકોથી ઝીંક ઝીલાતી નથી. જે રીતે અગાઉ ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને ત્યારબાદ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકોએ ભેગા મળીને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી, આના પરથી સ્પષ્ટ થાય છે કે અંબાજીથી ઉમરગામ સુધી ફક્ત એક જ નારો બોલાઇ રહ્યો છે “એક જ ચાલે… ચૈતર ચાલે….”
ડેડિયાપાડા ખાતે યોજાયેલા વિરાટ આદિવાસી મહાસંમેલનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સરકારી તંત્ર અને અદાલતનો દુરુપયોગ કરીને રાજકીય કિન્નાખોરીથી ૭ વર્ષની જેલની સજા કરાવવામાં આવી છે, પરંતુ આ અન્યાયી ચુકાદો જનતાની અદાલતમાં ક્યારેય સ્વીકાર્ય નથી. જો અહંકારી ભાજપ સરકાર ચૈતર વસાવાને ૭ વર્ષની સજા કરશે, તો આદિવાસી સમાજ આગામી સમયમાં ભાજપને ૭૦ વર્ષ સુધી સત્તાની બહાર ફેંકી દેવાની સજા આપશે, કારણ કે લોકશાહીમાં પોલીસ, વન વિભાગ કે મુખ્યમંત્રી કરતાં જનતાની અદાલત સૌથી મોટી છે. ભૂતકાળના નેતાઓએ આદિવાસીઓના મતો લઈને માત્ર પોતાની વોટબેંક મજબૂત કરી છે, જ્યારે ચૈતર વસાવાએ કેવડિયા, તાપી, છોટાઉદેપુર અને ડાંગ જેવા વિસ્તારોમાં થર્મલ પ્રોજેક્ટ અને પ્રાઇવેટ કંપનીઓના નામે આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પરથી ખદેડવાના સરકારી ષડયંત્રો સામે મજબૂત અવાજ ઉઠાવ્યો હોવાથી જ તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આજે કવિ કાગની પંક્તિઓ મુજબ ૨,૦૦૦ કરોડનું મનરેગા કૌભાંડ કરનારા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓ વિધાનસભામાં છે, જ્યારે ગરીબ દીકરીઓ, વિસ્થાપિતો અને શિક્ષણ માટે લડનારા ચૈતર વસાવા જેવા લોકરતનને જેલમાં પૂરવામાં આવ્યા છે. વિધાનસભામાં હંમેશાં મુખ્યમંત્રી અને મંત્રીઓની આંખમાં આંખ પરોવીને જંગલ જમીનનો હક માંગનારા ચૈતરભાઈ સાથે મારો પારિવારિક સંબંધ છે અને આ સંકટના સમયે સમગ્ર આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી તેમના પરિવાર કે સંતાનોને ક્યારેય એકલા પડવા નહીં દે, તેમજ હાઇકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે વહેલી તકે ચૈતરભાઈ વસાવા સ્ટે મેળવીને ધારાસભ્ય પદ પર કાયમ રહેશે.
આ સભા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આ દુઃખનો સમય છે અને આ સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકો સમર્થન આપવા માટે આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું, આવી જ રીતે આપ તમામ લોકો સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. બીજી એક મહત્વપૂર્ણ બાબત કે હમણાં સમાચાર મળ્યા કે જે 18 દિવસનું બાળક હતું, એ દસ દિવસ હવે જેલમાં રહીને આવ્યું છે, કારણ કે એ બાળકના માતાને જામીન મળ્યા છે. આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય લોકોને પણ બહાર લાવવાના છે. જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડત ચાલુ રાખવાની છે. હવે હું જ્યારે ધારાસભ્ય સાહેબને જેલમાં મળવા જઈશ ત્યારે એમને જણાવીશ કે આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકો એમની લડાઈમાં સમર્થન આપીને આ સભામાં પહોંચ્યા હતા. આજે તમામ લોકોએ જે તાકાત બતાવી છે આવી જ તાકાત હંમેશા બતાવજો. આ કાર્યક્રમમાં જે પણ સામાજિક અગ્રણીઓ, ધારાસભ્યો સહિત જે પણ લોકો પધાર્યા છે તમામનો આભાર.
જનમેદનીને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ખુશખબરી આપતા જણાવ્યું હતું કે, હું આપ સૌને એક ખુશખબર આપવા માંગુ છું. આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો, તેની સામે આજે એક બહુ મોટા સમાચાર આવ્યા છે કે, ૧૫ દિવસના માસૂમ બાળક સાથે જેલમાં બંધ શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે! આપણી દીકરી ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવવાની છે. આ જીત બદલ આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.





