(છનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજના હડહડતા કળીયુગમાં જ્યાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ભારતના જ એક રાજ્યમાં આજે પણ "રામરાજ્ય" જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વ ભારતના અતિ સુંદર રાજ્ય નાગાલેન્ડમાં લોકો એટલી હદ સુધી પ્રામાણિક છે કે ત્યાંની સ્થાનિક દુકાનોમાં કોઈ ચોકીદાર કે દુકાનદારની જરૂર પડતી નથી. ગ્રાહકો પોતે દુકાનમાં આવે છે અને પોતાની જરૂરિયાતનો સામાન ખરીદે છે અને પ્રામાણિકતાથી એના પૈસા કેશ બોક્સમાં અથવા ઓનલાઇન સ્કેનર દ્વારા ચૂકવીને ચાલ્યા જાય છે.
નાગાલેન્ડમાં નાના ગામડાઓ અને કેટલાક શહેરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સામાન્ય છે. અહીં દિવસભર દુકાનો ખુલ્લી રહે છે અને એના માલિકો પોતાના અન્ય કામોમાં વ્યસ્ત હોય છે. ગ્રાહકો દુકાનમાં આવીને સામાન્ય કિંમત પ્રાઈઝ લીસ્ટ કે સ્કેનર દ્વારા ચેક કરે છે ત્યારબાદ નિયત રકમ કેશ બોક્સમાં જમા કરાવે છે અને જો પરચુરણ પાછું લેવાનું હોય તો એ પણ જાતે જ ગણીને લઈ લે છે. દુકાનદારો સાંજે આવીને માત્ર હિસાબની ગણતરી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં ચોરી કે ઉચાપતના કિસ્સાઓ નહીવત અથવા શૂન્ય બરાબર જોવા મળે છે.
નાગાલેન્ડની આ અનોખી પરંપરા પાછળ ત્યાંની આદિવાસી સંસ્કૃતિ અને મજબૂત સામુદાયિક મૂલ્યો જવાબદાર છે. અહીં લોકો એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે અને સમાજમાં નૈતિકતાનું સ્તર એટલું ઊંચું છે કે કોઈપણ વ્યક્તિ ખોટું કામ કરતા પહેલા સો વાર વિચારે છે. માત્ર દુકાનો જ નહીં, ટેક્સી ચાલકો કે હોમ સ્ટેના માલિકો પણ પ્રવાસીઓ પાસેથી ક્યારેય વધારાના પૈસા વસૂલ કરતા નથી. આમ નાગાલેન્ડ ની આ સિસ્ટમ દેશભર ના લોકો માટે એક દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે.





