
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો
દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે. આ નવા ખરડામાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત અને ન્યાયસંગત બનાવવાનો છે.
નવા મુસદ્દા પ્રમાણે, અત્યાર સુધી અંત્યોદય અન્ન યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને દર મહિને ૩૫ કિલોગ્રામ અનાજ આપવામાં આવતું હતું. હવે તેમાં ફેરફાર કરીને દર મહિને પ્રતિ વ્યક્તિ ૭ કિલોગ્રામ અનાજ આપવાનો પ્રસ્તાવ છે. જાેકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ પરિવારને મળનારા અનાજની મહત્તમ મર્યાદા દર મહિને ૩૫ કિલોગ્રામ જ રહેશે. એટલે કે પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે અનાજ વહેંચાશે પણ કુલ જથ્થો નક્કી કરેલી સીમાથી વધશે નહીં.
સરકારનું માનવું છે કે, વર્તમાન વ્યવસ્થામાં પરિવારના કદના આધારે અસમાનતા જાેવા મળે છે. નાના પરિવારોમાં વ્યક્તિ દીઠ વધુ અનાજ મળી જાય છે, જ્યારે મોટા પરિવારોમાં વ્યક્તિ દીઠ ઓછું અનાજ આવે છે. આ અસંતુલનને ખતમ કરવા અને તમામ લાભાર્થીઓને સમાન ધોરણે લાભ આપવા માટે આ નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે.
આ પ્રસ્તાવ લાગુ થવાથી રેશન વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને સંતુલન વધશે. તેનાથી એ સુનિશ્ચિત કરી શકાશે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ અનાજ મળી રહે. ખાસ કરીને મોટા અને જરૂરિયાતમંદ પરિવારોને આનો સીધો લાભ મળી શકે છે, કારણ કે હવે રેશનનો જથ્થો પરિવારના સભ્યોની સંખ્યા પર ર્નિભર રહેશે.
કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવિત વિધેયક પર સામાન્ય જનતા, નિષ્ણાતો અને હિતધારકો પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. રસ ધરાવતા લોકો ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીમાં પોતાના વિચારો અને સૂચનો સરકારને મોકલી શકે છે. આ સૂચનોની સમીક્ષા કર્યા બાદ જ વિધેયકમાં જરૂરી ફેરફારો કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.





