
૪૦ વર્ષની આતુરતાનો આવશે અંત સંસદમાં મહિલા અનામત માટે PM મોદીનો માસ્ટરપ્લાન તૈયાર આ અમારી જ સરકાર છે જેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો માર્ગ મોકળો કર્યો : મોદી
કેન્દ્ર સરકારે ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ ગૃહની વિશેષ બેઠક બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશેષ સત્રનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા દેશની મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ અપાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. તેમનું આ નિવેદન માત્ર મહિલાઓના રાજકીય ભવિષ્યને સુરક્ષિત કરનારું નથી, પરંતુ દક્ષિણ ભારતની મોટી ચિંતાને પણ દૂર કરવાનો પ્રયાસ છે.
વડાપ્રધાને જણાવ્યું કે, “આ અમારી જ સરકાર છે જેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો માર્ગ મોકળો કર્યો છે.” તેમણે ઉમેર્યું કે આ કાયદાનો લાભ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી મળવાનું શરૂ થઈ જાય તે માટે કાયદો બનાવવા અને વર્તમાન જાેગવાઈઓમાં સુધારો કરવાની જરૂર છે. આ માટે ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન એક ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે.
વિશેષ સત્રના એજન્ડામાં બીજું સૌથી મહત્વનું પાસું સીમાંકન અને બેઠકોની સંખ્યા સાથે જાેડાયેલું છે. વડાપ્રધાને તે રાજ્યોની આશંકાઓ પર વિરામ મૂક્યો જેમણે જનસંખ્યા નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણા જેવા રાજ્યોમાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે વસ્તી ઓછી હોવાને કારણે તેમની લોકસભા બેઠકો ઘટી જશે.
વડાપ્રધાન મોદીએ ખાતરી આપતા કહ્યું કે કેરળ હોય કે તમિલનાડુ, દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યની બેઠકો ઓછી નહીં થાય. તેના બદલે મહિલાઓ માટે જે બેઠકો હશે, તે વધારાની (એડિશનલ) બેઠકો હશે. આનાથી મોટો ફાયદો થશે.” તેમણે રાજકારણથી આગળ વધીને આ મુદ્દા પર એકતા માટે અપીલ કરી. તેમણે જણાવ્યું કે સરકારે કોંગ્રેસ અને ભારત ગઠબંધનના તમામ પક્ષોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “અમે સંસદમાં એક એવો કાયદો પસાર કરવા માંગીએ છીએ જે સુનિશ્ચિત કરે કે લોકસભાની બેઠકોની સંખ્યા ક્યાંય પણ ઓછી ન થાય. મહિલાઓ માટે અનામત બેઠકોની સંખ્યા વધારવી જાેઈએ. આનાથી આપણા દક્ષિણ રાજ્યોને ઘણો ફાયદો થશે. આ માટે, અમે કાયદામાં સુધારો કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવી રહ્યા છીએ. અમને આશા છે કે વિરોધ પક્ષો અમારી સાથે સંમત થશે અને અમને ટેકો આપશે.”
વડાપ્રધાને જનતાને પણ આગ્રહ કર્યો છે કે તેઓ કોંગ્રેસ અને LDF જેવા પક્ષો પાસેથી વચન લે કે મહિલાઓના અધિકારનો આ કાયદો બિનહરીફ પસાર થવો જાેઈએ. તેમણે કહ્યું, “માતાઓ-બહેનોનો આ હક છેલ્લા ૪૦ વર્ષથી લટકેલો છે, જેને હવે ૨૦૨૯ માટે ફરીથી લટકાવી શકાય નહીં.” આ ખાસ સત્રનું મુખ્ય આકર્ષણ નારી શક્તિ વંદન કાયદામાં સુધારો હશે.
સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં મહિલા લોકપ્રતિનિધિઓની સંખ્યામાં ઐતિહાસિક વધારો સુનિશ્ચિત કરવામાં આવે. વડાપ્રધાને તમામ રાજકીય પક્ષોને કોઈ પણ રાજકીય ગણતરી વગર ખુલ્લા મનથી આ ફેરફારનું સમર્થન કરવા વિનંતી કરી છે, જેથી દેશની અડધી વસ્તીને તેમનો યોગ્ય હક મળી શકે.





