
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ.અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન!.બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જાેવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય યોજના બનાવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય અપરાધો અને ગુનાહિત નેટવર્કની માહિતી શેર કરવા માટે બંને દેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતિ બની છે.
૨૦૨૩માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય. આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસ તરીકે જાેવામાં આવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરુઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે પહેલા આ સુરક્ષા કરાર થવાથી બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર બરફ ઓગળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને દેશો નાગરિકોના રક્ષણ માટેની પહેલમાં થયેલી પ્રગતિને સ્વીકારે છે અને સ્થાનિક કાયદા તથા આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હેઠળ છેતરપિંડી અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર સહયોગ કરવા સંમત થયા છે.




