
ઉત્તર પ્રદેશમાં ખુદ પોલીસ પર ગેરકાયદે ખંડણીનો આરોપ લાગ્યો હતો. જે બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્વપન આનંદની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બરતરફ કરાયેલા ચીફ કોન્સ્ટેબલ અનિલ કુમાર સિંહે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે પોલીસકર્મીઓ સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. જે બાદ 27 નવેમ્બરે ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશનમાં તત્કાલિન પોલીસ અધિક્ષક, ચંદૌલીના ઈન્સ્પેક્ટર સહિત 18 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો અનિલ કુમાર સિંહે પોતાના જ વિભાગના લોકો પાસેથી ગેરકાયદે વસૂલીને લગતી યાદી વાઈરલ કરવા સાથે સંબંધિત છે.
ડીઆઈજીએ તપાસ કરી હતી
અનિલ કુમાર વારાણસીના મદુવાડીહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શિવશંકર નગરનો રહેવાસી છે. અનિલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી. તેણે ચંદૌલી એસપી, ઈન્સ્પેક્ટર મુગલસરાય શિવાનંદ મિશ્રા પર પોતાના પદનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ખુલાસો કર્યો હતો કે વિભાગ દર મહિને કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર વસૂલાત કરે છે. તેણે સોશિયલ મીડિયા પર ગેરકાયદે વસૂલાત સંબંધિત એક યાદી પણ વાયરલ કરી હતી. અનિલે દાવો કર્યો હતો કે આ લોકો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે. બાદમાં વિભાગે ડીઆઈજીને તપાસની જવાબદારી સોંપી હતી. તેમને પણ આરોપો સાચા હોવાનું જણાયું હતું. અનિલે આરોપ લગાવ્યો કે આ કારણે તત્કાલિન એસપીએ તેને 8 ફેબ્રુઆરી 2021ના રોજ બરતરફ કરી દીધો હતો.