
અમદાવાદ શહેરના સાબરમતી નદી પરના સુભાષ બ્રિજના વચ્ચે આવેલા સ્પાનમાં ડિફેક્ટ જણાતા સલામતીને પ્રાથમિકતા આપતાં બ્રિજની બન્ને બાજુ હાર્ડ બેરીકેટીંગ કરીને જાહેર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સુભાષ બ્રિજની સ્થિતિ અંગે નિષ્ણાતો દ્વારા ડીટેઈલ ઇન્સપેક્શન કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિષ્ણાતોની પ્રાથમિક મુલાકાત દરમિયાન હયાત બ્રિજના ફાઉન્ડેશનની વિગતવાર ઈન્વેસ્ટિગેશન કરવાની ભલામણ કરવામાં આવતાં તેના અનુસંધાને અ.મ્યુ.કો.દ્વારા નિષ્ણાત એજન્સીને ફાઉન્ડેશનના ટેસ્ટિંગ કાર્ય માટે સોંપણી કરવામાં આવી છે. હાલમાં ફાઉન્ડેશનના ટેસ્ટિંગનું કાર્ય પ્રગતિમાં છે. આ સાથે સુભાષ બ્રિજના હાલના ફાઉન્ડેશનની વિગતવાર તકનીકી તપાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલુ છે. એટલું જ નહીં, નિષ્ણાત એજન્સીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીથી મદદથી તપાસ પણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 4 ડિસેમ્બરે 2025ના રોજ સુભાષ બ્રીજના સુપર સ્ટ્રકચરમાં નુકસાન જણાતા જાહેર સુરક્ષાના હિતમાં તાત્કાલિક અસરથી બ્રીજ બંધ કરવામાં આવ્યો હતો.બ્રીજની સલામતી અંગે સંપૂર્ણ તકનીકી ચકાસણી કરવા માટે અ.મ્યુ.કો. દ્વારા ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ તેમજ એમ-પેનલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે મળીને નિરીક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બ્રીજના વધુ ઇન્સ્પેક્શન અને ટેસ્ટીંગની જરૂરિયાત જણાતાં અનુભવી તજજ્ઞ સંસ્થા બ્રીજની હાલ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, તેમજ ફાઉન્ડેશનની ચકાસણી પણ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બ્રીજની સલામતી અને મજબૂતી અંગે વધુ નિષ્ણાતી વિશ્લેષણ મેળવવા માટે તજજ્ઞ સંસ્થાઓ દ્વારા પણ જરૂરી તપાસ પણ કરાઈ રહી છે.




