
ઢાકામાં રાજકીય ઉથલપાથલ.૧૭ વર્ષ પછી ડાર્ક પ્રિન્સનું બાંગ્લાદેશમાં આગમન.BNP ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે.બાંગ્લાદેશી રાજકારણમાં એક મોટા ઘટનાક્રમમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે. તારિક રહેમાનના પાછા ફરવાથી BNP સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે, અને તેને દેશના રાજકીય પરિદૃશ્યમાં એક વળાંક તરીકે જાેવામાં આવી રહ્યો છે.
તારિક રહેમાનનું પાછા ફરવું એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ ગંભીર રાજકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જ્યારે જમાત-એ-ઇસ્લામી જેવી કટ્ટરપંથી શક્તિઓ પોતાનો પ્રભાવ વધારી રહી છે.
તારિક રહેમાનનું પાછા ફરવું દિલ્હી માટે ખાસ મહત્વ ધરાવે છે. ભારત તરફી માનવામાં આવતી અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે, અને ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ છે. આ સમયે, બાંગ્લાદેશ એક એવા ક્રોસરોડ પર ઊભું છે, જ્યાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર હેઠળ કટ્ટરપંથી ઇસ્લામિક તત્વો સક્રિય છે અને ભારત વિરોધી નિવેદનબાજી વધી રહી છે. ભારતની સૌથી મોટી ચિંતા જમાત-એ-ઇસ્લામી છે, જેને પાકિસ્તાનની ISI નું સમર્થક માનવામાં આવે છે. શેખ હસીના સરકાર દરમિયાન પ્રતિબંધિત, જમાતે ગયા વર્ષે સત્તા પરિવર્તન પછી રાજકારણમાં ફરી પ્રવેશ કર્યો છે. તાજેતરના ઓપિનિયન પોલ અનુસાર, BNP ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતવાની ધારણા છે, પરંતુ તેના ભૂતપૂર્વ સાથી, જમાત-એ-ઇસ્લામી, તેને સખત ટક્કર આપી રહી છે. ઢાકા યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં જમાતની વિદ્યાર્થી પાંખની અણધારી જીતથી પણ ભારતની ચિંતા વધી છે.
ભારત BNP ને પ્રમાણમાં ઉદાર અને લોકશાહી વિકલ્પ તરીકે જુએ છે, બંને વચ્ચે ઐતિહાસિક રીતે તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં. નવી દિલ્હીને આશા છે કે તારિક રહેમાનનું પુનરાગમન પાર્ટીના કાર્યકરોને ફરીથી ઉત્સાહિત કરશે અને BNP ને આગામી સરકાર બનાવવામાં સક્ષમ બનાવશે. શેખ હસીનાના શાસન દરમિયાન, બાંગ્લાદેશે ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા અને ચીન અને પાકિસ્તાનથી સંતુલિત અંતર જાળવી રાખ્યું હતું.
યુનુસ સરકાર દરમિયાન, પાકિસ્તાન સાથે નિકટતા વધી હતી અને ભારતથી અંતર જાેવા મળ્યું હતું. ભારતને આશા છે કે BNP ના સત્તામાં આવવાથી વિદેશ નીતિમાં પરિવર્તન આવશે.
૧ ડિસેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી અને ભારતે સહયોગની વાત કરી હતી. જેના જવાબમાં BNP એ કૃતજ્ઞતા સાથે પ્રતિક્રિયા આપી, જે વર્ષોથી તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક દુર્લભ સકારાત્મક સંકેત છે.




