
એક મંચ પર દેખાયો પવાર પરિવાર.અજિત-સુપ્રિયાએ NCP નો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.અજિત પવાર અને NCP (SP) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ શેર કર્યો હતો.વર્ષ ૨૦૨૩માં NCP માં થયેલા ભાગલા બાદ પ્રથમ વખત, મહારાષ્ટ્રના નગરપાલિકાની ચૂંટણીમાં અજિત પવાર અને સુપ્રિયા સુલે એક સાથે રાજકીય મંચ પર જાેવા મળ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વવાળી NCP અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) એ શનિવારે પુણે નગર નિગમ માટે સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. અજિત પવાર અને NCP (SP)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ શેર કર્યો હતો. આ દરમિયાન, NCP (SP) ના એવા નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેઓ અત્યાર સુધી પ્રચારથી મોટાભાગે દૂર રહ્યા હતા.
અજિત પવારે કહ્યું કે આ ઢંઢેરો પુણેના મુખ્ય નાગરિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ ચૂંટણી દસ્તાવેજમાં નળ દ્વારા પાણી પુરવઠો, ટ્રાફિક જામમાંથી રાહત, ખાડા-મુક્ત રસ્તાઓ, સ્વચ્છતા, હાઇ-ટેક સ્વાસ્થ્ય સેવાઓ, પ્રદૂષણ નિયંત્રણ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન જેવા મુદ્દાઓ પર ખાતરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સત્તારૂઢ મહાયુતિનો હિસ્સો હોવા છતાં, અજિત પવાર સ્થાનિક ભાજપ નેતૃત્વ પર સતત નિશાન સાધી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્ય અને કેન્દ્રમાં સરકાર હોવા છતાં અને પૂરતું ભંડોળ મળવા છતાં, ભાજપે પુણે અને પિંપરી ચિંચવડના વિકાસને પાટા પરથી ઉતારી દીધો છે. ભાજપ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી બંને નગર નિગમોમાં સત્તામાં હતી.
ઢંઢેરાના મુખ્ય વચનોમાં શહેરભરમાં ૩૩ ગુમ થયેલા રોડ લિંક્સને ઠીક કરવા, ભીડ ઓછી કરવા અને મુખ્ય રસ્તાઓને પહોળા કરીને ટ્રાફિકને સુધારવાનો વાયદો કરવામાં આવ્યો છે. બસો અને મેટ્રોમાં મફત મુસાફરીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગઠબંધને બે કિલોમીટરના દાયરામાં હોસ્પિટલ બનાવવાનું વચન આપ્યું છે જેથી પાયાની તબીબી સંભાળ સરળતાથી મળી શકે. જે હાઉસિંગ સોસાયટીઓ પર્યાવરણ-મિત્રતાના ઉપાયો અપનાવશે, તેમને પ્રોપર્ટી ટેક્સમાં ૨૦%ની છૂટ અને ‘ગ્રીન સોસાયટી‘નું પ્રમાણપત્ર આપવામાં આવશે.
આમ, રાજ્ય અને કેન્દ્રમાં અલગ-અલગ ગઠબંધનમાં હોવા છતાં, પવાર પરિવારે પુણે અને પિંપરી ચિંચવડની સ્થાનિક ચૂંટણીઓ માટે હાથ મિલાવ્યા છે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં એક રસપ્રદ વળાંક માનવામાં આવે છે.




