
ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ!.ગુજરાતના સાત જિલ્લામાં ૧૬૩૫૨ જમીન ‘બિન ખેતી’.એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી.ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના સાત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ થઈ ગઈ છે. એટલે કે આટલા ધરતીપુત્રોએ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે. ખાસ કરીને વિપરીત સંજાેગો વચ્ચે પણ ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે.ભારત કૃષિ પ્રધાન દેશ છે.
ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ અત્યારે સૌથી વધુ દુ:ખી ધરતીપુત્રો જ છે. એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર પણ સહાયના નામે ખોટા દેખાડા કરી રહી છે. ટેકાના ભાવની ખરીદી હોય કે કૃષિ સહાય, સાચા ખેડૂતો સુધી જરૂરી લાભ મળતો નથી.પરિણામે ખેડૂતો હવે ખેતી છોડી રહ્યા છે. ખેતીના વિવિધ પડકારોના કારણે નવી પેઢીના યુવાનો ખેતી કરવા તૈયાર નથી. આ સ્થિતિ વચ્ચે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવેલી હકીકત અનુસાર ગુજરાતના સાત જિલ્લામાં જમીન બિન ખેતી કરવા માટે કુલ ૨૭,૨૫૭ અરજીઓ આવી હતી. જે પૈકી ૧૬,૩૫૨ અરજીઓ મંજૂર કરાઈ છે. એટલે કે ખેતીની આટલી જમીન પર હવે ક્યારેય ખેતી થશે નહીં! અલબત્ત, બિન ખેતીમાં ફેરવાયેલી જમીનના સારા ભાવ જે તે ખેડૂતને ચોક્કસ મળશે, પરંતુ તે જગતના તાત તરીકેની પોતાની ઓળખ ગુમાવી દેશે.




