E20 ફ્યૂલને લઇ નીતિન ગડકરીની ઓપન ચેલેન્જ E20 ફ્યૂલથી એક પણ ગાડી ખરાબ થઈ હોય તો પુરાવાઓ સામે લાવો તેમણે આક્ષેપ કર્યો કે આ ફ્યુઅલ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યા છે
દેશમાં આજકાલ E20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને સોશિયલ મીડિયા અને અલગ-અલગ મંચો પર વ્યાપક ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ ઈંધણનો ઉપયોગ કરવાથી વાહનની માઇલેજ ઓછી થઈ જાય છે અને ગાડીનું એન્જિન પણ બગડી શકે છે. આ તમામ અફવાઓ અને દાવાઓ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે E20 પેટ્રોલને લઈને ફેલાવવામાં આવી રહેલા નકારાત્મક દાવાઓનો અત્યાર સુધી કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી. પુરાવા વિના લોકોને ભ્રમિત કરવા તે બિલકુલ યોગ્ય નથી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે, જાે E20 પેટ્રોલ પુરાવવાને કારણે કોઈની ગાડીનું એન્જિન ખરાબ થયું હોય તો તે ગાડીની સંપૂર્ણ માહિતી અને પુરાવા જનતા સામે લાવે. તેમણે ઉમેર્યું કે આવા કિસ્સામાં કારના માલિક પોતાના ડીલરની સાથે-સાથે સીધા તેમને પણ ફરિયાદ મોકલી શકે છે. ગડકરીનો દાવો છે કે અત્યાર સુધી તેમની પાસે આવો એક પણ કેસ આવ્યો નથી, જે સાબિત કરી શકે કે E20 પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, તેમણે આક્ષેપ કર્યો કે આ ફ્યુઅલ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યા છે. નીતિન ગડકરીએ સ્વીકાર્યું હતું કે સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની એનર્જી કેપેસિટી થોડી ઓછી હોય છે. આ જ કારણે કેટલીક ગાડીઓમાં માઇલેજમાં નજીવો ઘટાડો અનુભવાઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેનાથી એન્જિન ખરાબ થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માઇલેજ થોડી ઓછી થવી અને એન્જિનને નુકસાન થવું એ બંને તદ્દન અલગ બાબતો છે અને લોકોએ આ બંને બાબતોને ભેગી કરીને ન જાેવી જાેઈએ.
ગડકરીએ જણાવ્યું કે સરકાર E20 પેટ્રોલને એટલા માટે પ્રોત્સાહન આપી રહી છે જેથી દેશની વિદેશી તેલ પરની ર્નિભરતા ઘટાડી શકાય. ભારત દર વર્ષે કરોડો રૂપિયાનું ખર્ચ કરીને મોટી માત્રામાં કાચું તેલ વિદેશોમાંથી ખરીદે છે. જાે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે તો ઓઇલ ઇમ્પોર્ટ બિલમાં મોટો ઘટાડો થશે. ઇથેનોલનો સૌથી મોટો ફાયદો દેશના ખેડૂતોને પણ મળશે. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકોમાંથી તૈયાર કરવામાં આવે છે. આ બાયોફ્યુઅલની માંગ વધવાથી ખેડૂતોના પાકની વપરાશ વધશે અને તેમને વધુ સારી આવક મેળવવાની તક મળશે. આ સાથે ઇથેનોલ મિશ્રિત ઇંધણથી પ્રદૂષણ પણ ઘટે છે, તેથી તે પર્યાવરણ માટે પણ ઘણું ઉત્તમ માનવામાં આવે છે.
હાલના દિવસોમાં E20 પેટ્રોલને લઈને રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે. કેટલાક વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આનાથી કાર ચાલકોને આર્થિક નુકસાન થઈ શકે છે, જ્યારે બીજી તરફ સરકારનો દાવો છે કે જે ગાડીઓને E20 ઈંધણના હિસાબે જ તૈયાર (Compliant) કરવામાં આવી છે, તેમના માટે આ ફ્યુઅલ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકારે આ નવી નીતિ લાગુ કરતાં પહેલાં વાહનો પર તેનું કેટલાય સ્તરે સખત ટેસ્ટિંગ કર્યું છે.





