આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ જે દોઢ લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, AAP નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ ચૈતર વસાવાના સમર્થનમાં છે અને આશા છે કે ઝડપથી તેઓ બહાર આવશે અને ફરી એકવાર પોતાની ગર્જના કરશે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે આદિવાસી સમાજના દિકરા ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે આપ તમામ લોકોએ 1.5 લાખ સિગ્નેચરો કરી આપી, નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કામ કરી બતાવે. ચાર દિવસ પહેલા આપણે પંજાબનો વિડીયો જોયો હતો અને એનાથી આપણને ખ્યાલ આવી ગયો કે ચૈતરભાઈને ફક્ત લોકલ ભાજપના નેતાઓએ નહીં પરંતુ ઉપરના નેતાઓએ જેલમાં નખાવ્યા છે. એક તાજા સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસો પેન્ડિંગ છે, આ બધા કેસો વર્ષોથી પેન્ડિંગ છે પરંતુ ચૈતરભાઈનો કેસ તો હમણાં થોડા સમય પહેલા થયો હતો જો ચૈતરભાઈને તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો તો આ 16 લાખ પેન્ડિંગ છે એમને કેમ નથી કરાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે ચૈતરભાઈ વસાવાને ખતમ કરવા માટે ષડયંત્ર કર્યું હતું. ચૈતરભાઈનો ગુનો એ હતો કે આદિવાસી સમાજ પર જે આફત આવતી હતી એની સામે તેઓ લડતા હતા. શકુંતલાબેનના આંખમાં હમણાં આંસુ આવી ગયા હતા તો આપણે આંસુઓનો બદલો લેવાનો છે. આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો તો પહેલી જવાબદારી તો સાંસદ મનસુખભાઈની બનતી હતી, મનસુખભાઈ વન કર્મચારીઓને કહેવાની જરૂર હતી કે તેઓ ખોટું કરી રહ્યા છે. પરંતુ તેઓ બોલ્યા નહીં. પરંતુ ચૈતર વસાવા ખેડૂત સાથે ઊભા રહ્યા અને એમણે સમાધાન કરાવ્યું. ધારાસભ્યો-સાંસદો પ્રજાના હિતના કામ કરવા માટે હોય છે, દલાલી કરવા માટે નહીં. ઘણા બધા આદિવાસી સમાજના નેતાઓ ભાજપની પીપૂડી બની ગયા છે. આપણે આજે આ 1,50,000 સિગ્નેચરો કલેક્ટરને આપીશું પરંતુ કલેક્ટરની તાકાત નથી કે ઉપર સુધી વાત કરી શકે એટલા માટે આપણે આ સિગ્નેચરો રાષ્ટ્રપતિને મોકલવાના છીએ. 27 તારીખે છોટાઉદેપુરમાં પણ આ રીતનું સંમેલન કરવાનું છે. મને યાદ નથી કે આજ સુધી કોઈ નેતાના સમર્થનમાં દોઢ લાખ સિગ્નેચરો કોઈ કરી હોય, હવે આ સિગ્નેચરો આપણે ધીરે ધીરે કરીને 10 લાખ સુધી પહોંચાડવાની છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી સત્તામાં બેસેલી ગુજરાતની ભાજપ સરકાર આજે ફક્ત ચૈતર વસાવાથી ડરે છે. એટલા માટે એમણે ચૈત્ર ભાઈને જેલમાં નાખવાનું કામ કર્યું છે. ભાજપ ૩૦ વર્ષથી સત્તામાં છે એને અહંકાર છે. આ લોકો દેશના લોકોને કીડા મકોડા સમજે છે અને આ પ્રકારની તાનાશાહીથી ભરેલી માનસિકતાની સામે આપણી લડાઈ છે. આ માનસિકતાની સામે જે લડાઈ ચાલી રહી છે એનું નેતૃત્વ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. ભાજપના અનેક કાવતરાની સામે ચૈતરભાઈ ઝૂક્યા નથી. જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે ચૈતરભાઈ અને તેમના પરિવારનું નામ સુવર્ણ અક્ષરોથી લખાશે. આપણી લડાઈ મનસુખભાઈ વસાવા કે ભાજપના કાર્યકર્તાઓ સાથે નથી પરંતુ ભાજપની માનસિકતા સાથે છે અને આપણે આ માનસિકતાને હરાવવાની છે. જંતર મંતરમાં લાખો યુવાનો ભાજપની આ માનસિકતાની સામે લડાઈ લડી રહ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા સારી થાય એ ઉદ્દેશ્ય સાથે દેશના લાખો યુવાનોએ ફક્ત શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 14 વર્ષમાં 35 પેપર લીક થયા. ગુજરાતમાં ચૈતર વસાવાએ ક્રાંતિનું બીજ વાવ્યું છે. ચૈતરભાઈ હાલ જેલમાં છે પરંતુ આપણે તમામ લોકોએ સાથે મળીને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આપ તમામ લોકોએ ઘરે ઘરે જઈને દોઢ લાખ જેટલી સિગ્નેચર કરાવી છે તો આ પત્રો આપણે આજે કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું. રાષ્ટ્રપતિને જણાવીશું કે ચૈતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. ચૈતરભાઈ સાથે ફક્ત આદિવાસી સમાજ નહીં પરંતુ આખું ગુજરાત છે. આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો એ સાબિતી આપે છે કે ચૈતરભાઈ ઝડપથી જેલમાંથી છૂટશે અને ભાજપને ઘર ભેગી કરશે.
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આપણા ધારાસભ્ય ચૈતર ભાઈ ત્રણ-ત્રણ વાર જેલમાં ગયા અને એમના ધર્મપત્ની પણ બે વર્ષ જેલમાં રહ્યા, આજે આપણે ચૈતર ભાઈ અને તેમના પરિવારનો ખૂબ આભાર માનવો જોઈએ. આજે ભલે ચૈતર ભાઈ જેલમાં હોય, પરંતુ તેમણે સમગ્ર ગુજરાતના ઘરેઘરે નવા ‘ચૈતર ભાઈ’ પેદા કરી દીધા છે. આ જ વાતથી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે. એક સામાન્ય કેસમાં અઠવાડિયામાં અવારનવાર તારીખો પાડીને ભાજપ સરકારે ચૈતર ભાઈને હેરાન કર્યા અને એકાદ તારીખે ન જવાય તો તરત જ વોરન્ટ કાઢી લીધા! ૨૦૨૩ના કેસમાં ૨૦૨૬માં આ સરકારે ચુકાદો આપ્યો છે. પ્રદેશના નેતાઓએ ચૈતર ભાઈને ઉમરગામથી અંબાજી સુધીની તમામ બેઠકોની જવાબદારી સોંપી હતી. ચૈતર ભાઈએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ એક કરીને દરેક વિસ્તારમાં ફરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના સૂપડા સાફ કરી દીધા અને આટલી મોટી સંખ્યામાં બેઠકો જીતાડી આપી. આ જ કારણે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે! આજે ૩૫-૩૫ વર્ષથી ભાજપના સાંસદ રહેલા નેતાઓ પૂછે છે કે ચૈતર ભાઈએ શું કામ કર્યું? જે સાંસદ ૩૫ વર્ષમાં પોતાના ગામનો રસ્તો નથી બનાવી શક્યા અને એશિયાની નંબર વન GIDC વિસ્તારમાં સાંસદ હોવા છતાં આપણા નર્મદા જિલ્લાના શિક્ષિત યુવાનોને પ્રાઇવેટ કે સરકારી નોકરી નથી અપાવી શક્યા, તે આપણું શું ભલું કરશે? ભાજપના સાંસદ કે ધારાસભ્ય ગાંધીનગર સુધી આખી ટીમ લઈને જાય છે તોય તેમની કોઈ વાત સાંભળતું નથી અને તેઓ ચૈતર ભાઈને દબાવવા નીકળ્યા છે. ચૈતર ભાઈ વસાવા ટૂંક સમયમાં આપણી વચ્ચે બહાર આવશે.
આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મને અને બીજા ચાર ખેડૂતોને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે તો અમે હાઇકોર્ટનો આભાર માનીએ છીએ. ભાજપ અમને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે અને આનો જવાબ 2027 માં આપીશું. ખેડૂતોને ન્યાય અપાવવાની જગ્યાએ ચૈતરભાઈને ખોટી રીતે સજા કરવામાં આવી એનો જવાબ પણ જનતા આપવા માટે તૈયાર છે. ધારાસભ્ય ચૈતર વસાવા અનેક મુદ્દાઓ પર લડતો આપે છે એ ભાજપ સરકારને ગમતું નથી એટલા માટે તેમને વારંવાર જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં અમને ખૂબ જ તકલીફ પડતી હતી પરંતુ અમે પ્રજાના આશીર્વાદથી બહાર આવ્યા છીએ માટે આપ તમામ લોકોનો ખુબ ખુબ આભાર. સાહેબ (ચૈતરભાઈ)ની તબિયત સારી છે અને ઝડપથી એમને પણ જામીન મળશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની વર્ષાબેન વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપણે ગામડે ગામડે જઈને 1.5 લાખ સિગ્નેચરો કરાવી. આપ તમામ લોકોએ મને જે સાથ સહકાર આપ્યો એ હું ક્યારેય ભૂલીશ નહીં. આપણા ધારાસભ્ય આપણા માટે મોભી છે અને એમના વગર આપણને કેટલી તકલીફ પડી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે. ધારાસભ્ય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લોકો માટે લડત લડે છે, તેઓ ઘર પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહે છે અને એ જ ભાજપના નેતાઓને ગમતું નથી એટલા માટે તેઓ ધારાસભ્ય સાહેબને વારંવાર જેલમાં મોકલે છે 2027માં આનો બદલો લેવામાં આવશે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આપણે નર્મદામાં વિરોધીઓના સુપડા સાફ કર્યા એ જ રીતે 2027માં અંબાજીથી ઉમરગામ સુધી સૂપડા સાફ કરવાના છે. મનસુખ દાદા તમારે ડિબેટમાં બેસવું હોય તો અમારી જનતા અને હું અમે તમામ લોકો તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ.





