હેડ કોચ ગૌતમ ગંભીરે આપ્યો ટ્રોલર્સને જવાબ મારુ કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ નહીં તેમણે કહ્યું કે, ટીમ સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે અને તાજેતરની હાર મોટી નિષ્ફળતા નથી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે એ સવાલોનો જવાબ આપ્યો છે જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે. ગંભીરે એ વાતનો ઇન્કાર કરી દીધો છે કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તાજેતરની હારને કોઈ મોટી નિષ્ફળતા તરીકે નહીં, પરંતુ પરિવર્તનના સમયગાળા(ટ્રાન્ઝિશન ફેઝ)ના એક ભાગ તરીકે જાેવી જાેઈએ. ગોલમાં ૧૬૫ રનથી જીત મેળવ્યા બાદ, ભારત શ્રીલંકા સામે કોલંબોમાં બીજી ટેસ્ટ રમવા જઈ રહ્યું છે, જેમાં તેની પાસે ૧-૦ની સરસાઈ છે. જાેકે, બીજી ટેસ્ટ જ સિરિઝનું પરિણામ નક્કી કરશે, તેથી સૌની નજર એ ટીમ પર ટકેલી છે જે અનેક દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ પોતાની નવી ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગંભીરે પ્રેસ સાથે વાત કરતાં ટેસ્ટ ટીમ અંગે કહ્યું કે, અમે સંઘર્ષ નથી કરી રહ્યા, રેન્કિંગ મહત્ત્વની નથી. અમે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. ઉતાર-ચડાવ તો આવશે જ, પરંતુ ઇંગ્લૅન્ડ સિરિઝ પછીથી અમે સતત સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. ગોલની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે શ્રેષ્ઠ હતી, અમને ત્યાં રમવાની મજા આવી અને આશા છે કે અહીંની પીચ પણ એવી જ રહેશે. આ કોઈ એકદમ પરફેક્ટ ટેસ્ટ મેચ નહોતી, પરંતુ ટેસ્ટ મેચ આ રીતે જ રમાય છે. આ સાથે જ ગંભીરે ટ્રોલર્સને આડે હાથ લેતાં કહ્યું કે, મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ મેળવવાનું નહીં.
ભારતીય ટેસ્ટ ટીમમાં પરિવર્તનનો તબક્કો હજુ પૂરો નથી થયો, પરંતુ એક નવી કોર ટીમ ઊભરી આવવાના સંકેતો અત્યારથી જ દેખાવા લાગ્યા છે. ગિલ પોતાની નેતૃત્વની ભૂમિકામાં ખીલી રહ્યો છે, પડિક્કલ નંબર ૩ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને સુથારે સ્પિન વિભાગમાં એક રોમાંચક નવો વિકલ્પ પૂરો પાડ્યો છે.
આ ઉપરાંત ટીમના હેડ કોચ ગંભીરે પડિક્કલ અને સુથાર અંગે વાત કરી અને કહ્યું કે, તેમનું પ્રદર્શન ખૂબ જ સંતોષજનક રહ્યું છે, પરંતુ હજુ વધારે કામ કરવાનું બાકી છે. ભારતીય ક્રિકેટ માટે એ સારી બાબત છે કે તેમણે આવતાની સાથે જ સારું પ્રદર્શન કર્યું. માત્ર એક મેચના આધારે ખેલાડીઓનું આકલન કરવું યોગ્ય નથી.
શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચોની સિરિઝમાં ભારત પહેલેથી જ ૧-૦થી લીડ મેળવી ચૂક્યું છે, જેનો અર્થ એ છે કે કોલંબોમાં રમાનારી બીજી ટેસ્ટ જ સિરિઝનું પરિણામ નક્કી કરશે. ગંભીરનું માનવું છે કે, ત્રણ ટેસ્ટ મેચોની સિરિઝ ટીમોને પ્રથમ મેચ હાર્યા બાદ વાપસી કરવાની શ્રેષ્ઠ તક આપે છે. તેમણે કહ્યું કે, ૩ ટેસ્ટ મેચોની સિરિઝ સૌથી સારી હોય છે. ઓછા સમયમાં આગામી મેચ રમવી યોગ્ય છે, અમે જાણીએ છીએ કે અમારા શરીરને કેવી રીતે સાચવવું અને રિકવર કેવી રીતે થવું. અમે ઓપ્શનલ પ્રેક્ટિસ કરાવીએ છીએ અને બોલરોને આરામ આપીએ છીએ. મને લાગે છે કે ત્રણ ટેસ્ટ મેચોની સિરિઝ ખેલાડીઓ માટે સૌથી સારી હોય છે.





