
દેશમાં મોટા ભૂકંપની સંભાવના : એક્સપર્ટ.૩૦ કલાકમાં ૨૪ વાર ધ્રુજી ગુજરાતના કચ્છની ધરતી !.એક્સપર્ટ કહે છે કે આ એક ચેતવણી છે અને ભૂકંપ મોક ડ્રીલ અને સલામતીના પગલાંઓ લેવા હવે જરૂરી છે.શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે ૨૪ વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ તાજેતરના ભૂકંપ પછી લગભગ બે ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ આ પ્રદેશમાં ત્રણ ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી રહી છે.
ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ, મુખ્ય ભૂકંપના ૩૦ કલાકની અંદર ૨૩ આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના હળવા આંચકા) આવ્યા હતા. શુક્રવારે સવારે ૪:૩૦થી શનિવારે સવારે ૯:૪૫ વાગ્યાની વચ્ચે આવેલા આ આંચકા ઉત્તર વાગડ ફોલ્ટમાંથી ઉદ્ભવ્યા હતા, જે પ્રદેશમાં સૌથી સક્રિય માનવામાં આવે છે. તાજેતરના ભૂકંપના ડેટા દર્શાવે છે કે કાથરોલ ટેકરી, ગોરા ડોંગર અને ઉત્તર વાગડ ફોલ્ટ લાઇન એકસાથે સક્રિય થઈ હતી, જેનાથી ભારતના સૌથી વધુ ભૂકંપ-સંભવિત પ્રદેશો વિશે ચિંતા વધી છે.
કચ્છ પહેલાથી જ ૧૦થી વધુ ફોલ્ટ લાઇન પર આવેલું છે, જેમાં કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને દક્ષિણ વાગડ ફોલ્ટનો સમાવેશ થાય છે, જે ૨૦૦૧ના વિનાશક ભૂકંપ (રિક્ટર સ્કેલ પર ૭.૭) દરમિયાન તૂટી ગયું હતુ. તાજેતરમાં સુધી, મોટાભાગની ભૂકંપીય પ્રવૃત્તિ આ જાણીતા વિસ્તારોની આસપાસ કેન્દ્રિત હતી. જાે કે, ૨૦૨૫માં નોંધાયેલા તાજેતરના આંચકા સૂચવે છે કે તાણ નવી ફોલ્ટ સિસ્ટમ્સમાં સ્થાનાંતરિત થઈ રહ્યો છે અને ફેલાઈ રહ્યો છે.
ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, “નગરપારકર અને અલ્લાહ બંધ જેવી પરંપરાગત રીતે સક્રિય ફોલ્ટ લાઇન વર્ષોથી ભૂકંપ પેદા કરે છે. પરંતુ હવે ચિંતાજનક બાબત એ છે કે તાજેતરના આંચકાઓએ ઉત્તર વાગડ ફોલ્ટ પર સક્રિયતાની પુષ્ટિ કરી છે, જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં કાથરોલ ટેકરી અને ગોરા ડોંગર ફોલ્ટ લાઇન પર નોંધાયેલા ભૂકંપ દર્શાવે છે કે ૨૦૨૫ની શરૂઆતથી જ ત્રણેય ફોલ્ટ લાઇન સક્રિય છે.
ગૌરવ ચૌહાણના મતે, ૧થી ૩ ની તીવ્રતાના આફ્ટરશોક્સે સંચિત ઊર્જા મુક્ત કરવામાં મદદ કરી છે, જેનાથી તાત્કાલિક મોટા ભૂકંપનું જાેખમ ઓછું થાય છે. તેમણે કહ્યું કે, આફ્ટરશોક્સ દબાણ ઘટાડે છે, પરંતુ બહુવિધ ફોલ્ટ લાઇન સક્રિય થવાથી ચેતવણી પણ મળે છે. આ ફોલ્ટમાં મોટો ભૂકંપ પેદા કરવાની ક્ષમતા છે, અને તેથી, તૈયારી મહત્વપૂર્ણ છે.
વધુમાં તેમને જણાવ્યું કે શુક્રવારનો ભૂકંપ મધ્યમ તીવ્રતાનો હોવા છતાં, સમગ્ર કચ્છમાં તેના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જાેરદાર હતા કે લોકો ભયભીત થઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. એક્સપર્ટ કહે છે કે ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ઓછી હોવાથી આ તીવ્ર આંચકા આવ્યા હતા.
ભૂકંપશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કચ્છમાં કોઈપણ શક્તિશાળી ભૂકંપ ફક્ત આ પ્રદેશ પૂરતો મર્યાદિત રહેશે નહીં. પ્રદેશની ભૂસ્તરીય રચનાને જાેતાં, મજબૂત ભૂકંપ પશ્ચિમ ભારતના મોટા ભાગોને અસર કરી શકે છે, જેનાથી તકેદારીની જરૂરિયાત વધુ વધી જાય છે.
ચૌહાણે અધિકારીઓને તાજેતરની ભૂકંપીય પ્રવૃત્તિને ચેતવણી તરીકે લેવા વિનંતી કરી અને નિયમિત ભૂકંપ મોક ડ્રીલ, મકાન બાંધકામના ધોરણોનું કડક પાલન અને શાળા શિક્ષણમાં આપત્તિ તૈયારીનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.




