
**SMSથી મળી જશે તમામ માહિતી તમારા પોલીસ કેસ માટે, વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે જરૂર નથી; નાગરિકોની સુવિધા માટે SMS સિસ્ટમ શરૂ, જે ફરિયાદીને કેસને લગતા ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે**
ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા જ SMS મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. SMS સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.
રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મે-૨૦૨૫માં SMS પહેલ શરૂ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ SMS મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે.
SMS પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી.
આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા. ૧૪ મે, ૨૦૨૫, અત્યાર સુધી, SMS એ નાગરિકોને લાખોની સંખ્યામાં SMS મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં હ્લૈંઇ દાખલ થઈ ગયા અંગે SMS, પંચનામા SMS, નોટિસ અંગે, આરોપીના જામીન અંગે, આરોપી ધરપકડ અંગે, મુદ્દામાલ રિકવર અંગે અને ચાર્જશીટ થયા અંગે SMS મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે. આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે.
આ પહેલથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની પ્રગતિ વિશે પૂછપરછ કરતા નાગરિકોના પ્રશ્નોનો જવાબ આપવા લાગતા સમયનો બચાવ કરી શકે છે અને તેમનું ધ્યાન કેસની તપાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ સિસ્ટમ થકી પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે ઉચ્ચ અધિકારીઓને દેખરેખ રાખવામાં મદદ કરે છે.
**નાગરિકોને થતા ફાયદા**
• **પારદર્શકતા અને વિશ્વાસ:** SMS સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.
• **સમય અને શક્તિનો બચાવ:** નાગરિકોએ તેમના કેસની પ્રગતિ જાણવા માટે પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા પડતા નથી, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થાય છે.
• **ઓટોમેટિક અપડેટ્સ:** આ સિસ્ટમ કેસ સંબંધિત દરેક મહત્ત્વપૂર્ણ તબક્કે (જેમ કે ધરપકડ, ચાર્જશીટ વગેરે) નાગરિકોને SMS દ્વારા આપોઆપ અપડેટ્સ મોકલે છે.
• **સુરક્ષા અને સંતોષ:** નાગરિકોને સતત અપડેટ મળતી રહેવાથી તેઓ સુરક્ષિત અને સંતુષ્ટ અનુભવે છે કે તેમના કેસ પર કામ ચાલી રહ્યું છે.
SMS પહેલ ગુજરાત પોલીસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે નાગરિક-કેન્દ્રિત સુશાસન અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે.




