સીએજી રિપોર્ટમાં ધડાકો અમદાવાદ-સુરતે રેલવેની તિજાેરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું! ૮૯% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તાજેતરમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ‘અમૃત સ્ટેશન’ ના મોટા મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જાેવા મળી રહ્યો છે. વાર્ષિક ૫૩૦ કરોડની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને ૩૪૦ કરોડની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ કુરચના અને દુરવ્યવસ્થાનો ભોગ બન્યા છે.કેગના અહેવાલ મુજબ દેશના ૫૧૨ રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં માલૂમ પડ્યું કે ૮૯% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. માત્ર વર્ષ ૨૦૧૯-૨૦ માં જ રેલવેને પ્લેટફોર્મ ટિકિટમાંથી ૧૬૦.૮૭ કરોડની આવક થઈ હતી. આટલી માતબર કમાણી છતાં પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા માટે યોગ્ય જગ્યા કે પીવાનું પાણી પણ નસીબ થતું નથી.એક તરફ સામાન્ય મુસાફરો મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્ર કરોડો રૂપિયાનું બજેટ વાપરી શક્યું નથી. છેલ્લા ૫ વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી ૧૧,૪૭૮ કરોડની રકમ વણવપરાયેલી પડી રહી છે. બીજી તરફ, ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાદીને સરકારે માત્ર ૪ વર્ષના ગાળામાં મુસાફરો પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે ૬,૧૧૨ કરોડ રૂપિયા વસૂલી લીધા છે.





