
રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ અમદાવાદમાં ૧૧% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે નોકરી-ધંધા કે અભ્યાસ માટે નીકળતા લોકોમાંથી ૮૦ ટકાથી વધુ દ્વારા પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ
ઈંધણની કટોકટી વચ્ચે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલ બચાવવાની આ સલાહ લોકોએ જાણે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હોય તેવી સ્થિતિ જાેવા મળે છે. પીએમની અપીલના દસ દિવસ બાદ પણ અમદાવાદમાં એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ જેવા જાહેર પરિવહનોમાં મુસાફરોની સંખ્યા સમ ખાવા પૂરતી પણ વધી નથી.ભૂરાજકીય તણાવના લીધે ઈંધણની કટોકટી સર્જાતા સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચાવવા લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ રહી છે. પરંતુ સરકારની આ અપીલની અત્યાર સુધી કોઈ અસર જાેવા મળતી નથી. મેટ્રો રેલમાં તો સમય વધારીને રાત્રિના ૧૧ વાગ્યા સુધી કરી દેવાયો છે. પરંતુ એએમટીએસ અને મેટ્રો રેલના સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લાં દસેક દિવસમાં સિટી બસ અને મેટ્રો રેલમાં મુસાફરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. ઉલટાનું ગરમી અને રજાઓના લીધે બંનેમાં મુસાફરોની સંખ્યા હાલ ઘટી ગઈ છે.બીજી બાજુ બીઆરટીએસમાં દૈનિક ૧.૯૦ લાખ મુસાફરો સામે છેલ્લાં દસેક દિવસમાં રોજ એક હજાર મુસાફરો વધ્યા હોવાનો દાવો કરાયો છે. હાલ એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ ત્રણેયમાં દૈનિક કુલ ૮.૮૦ લાખ લોકો મુસાફરી કરે છે. આમ અમદાવાદની વસતી સામે માંડ ૧૧થી ૧૨ ટકા લોકો જાહેર પરિવહનમાં મુસાફરી કરે છે. તેમાં પણ મોટાભાગના લોકો ઈચ્છાથી નહીં પરંતુ મજબૂરીમાં સિટી બસમાં મુસાફરી કરે છે. કેબ કે ટેક્સીમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી મોટા ભાગના લોકો રાઈડ શેરિંગ કરવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ટુવ્હીલર તો ઠીક કાર લઈને એકલા નીકળતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ નથી. નોકરી-ધંધા કે અભ્યાસ માટે નીકળતા કુલ લોકોમાંથી ૮૦ ટકા દ્વારા પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.





