આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે જામ ખંભાળિયામાં સમાજ સેવા માટે ચાલતા ‘પ્રાર્થના ફાઉન્ડેશન’નું ખંભાળિયા સિવિલ હોસ્પિટલની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને લોહી, તબીબી સાધનો, પલંગ (બેડ-ખાટલા) કે વ્હીલચેરની જરૂર હોય, તે તમામ દ્વારકાવાસીઓને પૂરા પાડવામાં આવશે. તમામ લોકો અહીંયા મુલાકાત લઈ શકે છે અને જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રાર્થના ફાઉન્ડેશન મદદ માટે સાથે રહેશે. આ કાર્યમાં આખો દ્વારકા જિલ્લો જોડાયો છે તેનો મને ગર્વ છે. આજે ખંભાળિયામાંથી વિવિધ સમાજના અગ્રણીઓ, વડીલો અને સંતો-મહંતોએ પણ આ કાર્યને બિરદાવીને પોતાનો સહયોગ આપ્યો છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ સંસ્થામાં ડોક્ટરની એપોઇન્ટમેન્ટથી માંડીને ડોક્ટરને ભલામણ કરવા સુધીની જવાબદારી નિભાવવામાં આવશે. માત્ર ખંભાળિયામાં જ નહીં, પરંતુ જામનગર કે અમદાવાદ સુધી પણ જો દર્દીઓને કામ હશે તો આ પ્રાર્થના ફાઉન્ડેશન તરફથી મદદ કરવામાં આવશે. દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે જામનગરની જી.જી. હોસ્પિટલ હોય, જે પણ હોસ્પિટલોમાં મદદની જરૂર પડશે ત્યાં અહીંથી ભલામણ કરીને સેવા આપવાનું કામ થશે. આ પ્રસંગે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે એક રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમાજ સેવાના ઉત્તમ કામમાં તમામ વર્ગ અને તમામ લોકો જોડાયા તેનો મને ખૂબ જ આનંદ છે. આ તકે ઇસુદાન ગઢવીએ પણ રક્તદાન કર્યુ હતુ.





