
રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે
રાજ્ય સરકારે ગઈ કાલે વિવિધ વિભાગોમાં વર્ગ-૪ના કર્મચારીઓને ૭ હજારની મર્યાદામાં એડહોક બોનસ ચૂકવવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ ૨૦૨૫થી આપવાનો ર્નિણય કર્યો છે.મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી ર્નિણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૨ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૧૯૩૨.૯૨ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી ર્નિણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.




