
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આરોપ ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું રચાયું રાહુલ ગાંધીનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણીજાેઇને કોંગ્રેસના વૉટર્સના નામ મતદાર યાદીમાંથી કાપી રહ્યું છે : સુરતમાં જીવિત મતદારોને મૃત જાહેર કરાયા
લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ SIR મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં ગરબડ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણીજાેઇને કોંગ્રેસના વૉટર્સના નામ મતદાર યાદીમાંથી કાપી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જ્યાં જ્યાં SIR, ત્યાં ત્યાં વોટ ચોરી. ગુજરાતમાં SIRના નામે સુનિયોજિત, સંગઠિત અને વ્યૂહનીતિ બનાવી વોટ ચોરી કરવામાં આવી રહી છે. એક જ નામથી હજારો વાંધા અરજી દાખલ કરવામાં આવી રહી છે. ખાસ વર્ગ તથા કોંગ્રેસ સમર્થક બૂથમાં જ મતદારોના નામ કાપવામાં આવ્યા છે. જ્યાં જ્યાં ભાજપ હાર ભાળી જાય છે ત્યાં ત્યાં સિસ્ટમમાંથી મતદારોના નામ જ ગાયબ કરી દેવાય છે. આ પેટર્ન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ જાેવા મળી. હવે એ જ બ્લુપ્રિન્ટ ગુજરાત, રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યવાહી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બંધારણમાં એક વ્યક્તિ, એક મતનો અધિકાર આપવામાં આવ્યો છે. જે ખતમ કરવા માટે SIRને હથિયાર બનાવવામાં આવ્યું છે. જેથી સત્તામાં કોણ બેસશે તે જનતા નહીં, ભાજપ નક્કી કરી શકે. ગંભીર સત્ય છે કે ચૂંટણી પંચ હવે લોકશાહીનું રક્ષક, પણ વોટ ચોરીના કાવતરામાં ભાગીદાર બની ગયું છે.
ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ ૧૯ જાન્યુઆરીએ બહાર પડેલી ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ૪ કરોડ ૩૪ લાખ મતદારો અંગે મોટા અપડેટ આવ્યા છે. આ મતદારોમાંથી ૪૦ ટકા મતદારોના ડેટા મેચ થયા નથી. એટલે કે, ૧.૭૩ કરોડ મતદારોના ડેટા મેચ નથઈ થઈ રહ્યા. આ તમામને તંત્રએ નોટિસ આપી છે. જૂની યાદીમાં નામ, ઘર નંબર અને ઉમર ખોટી રીતે લખાયેલાં હોવાથી ખામી આવી છે. તો તાર્કિક ખામીઓ અને મેપિંગ ન થવાને કારણે હવે આ તમામ મતદારોને રુબરુ હાજર રહીને પુરાવા આપવા પડશે.
તંત્ર આ બાબતને લોજિકલ ડિસ્ક્રિપન્સી એટલે કે તાર્કિક ખામી અને નો મેપિંગ ગણાવી રહ્યુ છે. જે મુજબ, ૧.૭૩ કરોડ મતદારોની માહિતી અગાઉની ૨૦૦૨ ની યાદી સાથે મેળ ખાતી નથી. આવામાં તમામને બીએલઓ દ્વારા નોટિસ પાઠવીને રુબરુ હાજર રહેવા સૂચના અપાઈ છે.
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ અને મતદારોના અધિકાર છીનવવાના સુનિયોજિત ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પહેલા વોટ ચોરીના આરોપો ઉઠ્યા હતા અને હવે લગભગ ૧૦ લાખ જેટલા ખોટા અને બિનપુરાવાવાળા ફોર્મ-૭ (મતદારના નામ રદ્દ કરવા માટેના અરજીપત્ર) ભરીને મતદારોના
બંધારણીય મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બંધારણ દ્વારા દરેક નાગરિકને આપવામાં આવેલા મતના અધિકારને ભાજપ અને ચૂંટણી પંચના કથિત મેળાપીપણાથી ખતમ કરવાની કોશિશ થઈ રહી છે.
સુરતના આજણા અનવર નગરમાં જીવિત મતદારોને મૃત જાહેર કરાતા ભારે હોબાળો મચી ગયો છે. લિંબાયત વિસ્તારમાં SIR કામગીરીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. ફોર્મ નંબર ૭માં આશરે ૨૨૫ જીવિત લોકોને મૃત અથવા તો સ્થળાંતરિત બતાવાતા તેઓ રોષે ભરાયા છે. મસ્જિદના લાઉડસ્પીકર પરથી કાયદાકીય લડત માટે લોકો એકત્ર થયા હતા. હાથમાં આધારકાર્ડ અને દસ્તાવેજાે લઈને મતદારો રસ્તા પર ઉતર્યા હતા.
મતદારોએ ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ સામે ગંભીર આક્ષેપ કર્યા. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં સુનિયોજિત કાવતરાનો આરોપ મૂક્યો છે. ૮૦ ટકા મતદારોને કાગળ પર મૃત જાહેર કરાયા હોવાનો દાવો લોકોએ કર્યો છે. અહીં વર્ષોથી રહેતા અને નિયમિત મતદાન કરતા નાગરિકોના નામ કપાયા છે. ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ મતદારોએ લેખિત અરજી આપી છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.
સ્થાનિકોએ આ બાબતને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા તપાસની માંગ કરાઈ છે. જીવિત હોવા છતાં મૃત જાહેર થવાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે.




