
મણિપુરમાં વડાપ્રધાન મોદીનું મોટું એલાન વિસ્થાપિતો માટે ૭૦૦૦ મકાન બનાવીશું, ૩૫૦૦ કરોડનું પેકેજ મંજૂર ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે : અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચ્યા હતા. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. હિંસામાં પોતાનું આશ્રય ગુમાવનારા લોકો માટે સરકાર નવા ૭ હજાર મકાન બનાવશે. આ ઉપરાંત ખાસ મણિપુર માટે કેન્દ્ર સરકાર દ્વારા ૩૦૦૦ કરોડના પેકેજને મંજૂરી અપાયાની પણ પીએમ મોદીએ માહિતી આપી હતી. બીજી બાજુ ખાસ કરીને વિસ્થાપિતો માટે ૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી કાર્યક્રમને સંબોધવા માટે મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળની નજીક કાંગળાથી થોડીક દૂર કોંગ્રેસ ભવનની બહાર દેખાવ કર્યા હતા. સ્થિતિને જાેતા વધારાના સુરક્ષાદળોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા જેનાથી દેખાવોનો અંત આણી શકાય. તેમણે રાજ્યમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનો સંદેશ આપ્યો હતો. તેમણે મણિપુરના સામાજિક અને આર્થિક વિકાસ માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, મણિપુરના નામમાં મણિ છે, આ એ મણિ છે જે આવનારા સમયમાં સમગ્ર પૂર્વોત્તર ભારતની ચમક વધારશે. ભારત સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે મણિપુરને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ લઈ જવામાં આવે. આ સંદર્ભમાં, હું આજે તમારા બધા વચ્ચે આવ્યો છું.
પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મણિપુરને ૭ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા. તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, થોડા સમય પહેલા, આ મંચ પરથી લગભગ ૭ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો, અહીંના ટેકરીઓ પર રહેતા આદિવાસી સમાજનું જીવન વધુ સારું બનાવશે.
તેમણે કહ્યું, તમે બધા જાણો છો કે પહેલા અહીંના ગામડાઓ સુધી પહોંચવું કેટલું મુશ્કેલ હતું. હવે સેંકડો ગામડાઓને રોડ કનેક્ટિવિટી આપવામાં આવી છે. પહાડી લોકો, આદિવાસી ગામડાઓને આનો ઘણો ફાયદો થયો છે. અમારી સરકાર દરમિયાન જ મણિપુરમાં રેલ કનેક્ટિવિટી વિસ્તરી રહી છે. જીરીબામ-ઇમ્ફાલ રેલ્વે લાઇન ખૂબ જ ટૂંક સમયમાં રાજધાની ઇમ્ફાલને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જાેડશે.
મુખ્ય સચિવ ગોયલે કહ્યું હતું કે, શાંતિ એટલે માત્ર હિંસાનો અભાવ જ નહીં, પરંતુ વિશ્વાસ, સદ્ભાવ અને સમાધાન પણ જરૂરી છે. આ પ્રકારે, વડાપ્રધાન મોદીની મણિપુરની મુલાકાતથી રાજ્યમાં શાંતિ, સામાન્ય સ્થિતિ અને વિકાસનો માર્ગ મોકળો કરશે.
મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી. રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુન:સ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. બધા પક્ષોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે.
મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ હતી. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા હતા.




