ખડગે અને રાહુલ ગાંધીનો મોદીને પત્ર રામ મંદિર મામલે નિષ્પક્ષ તપાસની માંગ, કહ્યું- શ્રદ્ધાળુઓ છેતરાયા કોંગ્રેસે ટ્રસ્ટના સભ્યો પર સવાલ ઉઠાવ્યા અને ભક્તોના પૈસાની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીનો મામલો હવે દેશભરમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક કડક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રામ મંદિર દાન ચોરી કેસમાં તાત્કાલિક અસરથી એક સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કૌભાંડના કારણે દેશના લાખો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે અને તેઓ વિશ્વાસઘાત અનુભવી રહ્યા છે.
કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંસદમાં વડાપ્રધાન દ્વારા આ ટ્રસ્ટની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેના તમામ સભ્યોની નિમણૂક માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી છે.” તેમણે આરોપ લગાવ્યો કે ટ્રસ્ટના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સાથે જાેડાયેલા છે. આ ઉપરાંત, પત્રમાં ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરીને વડાપ્રધાનના નજીકના સહયોગી ગણાવીને તેમની સામે પણ નિશાન સાધવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતાઓએ પત્રમાં સવાલ ઉઠાવતા કહ્યું કે, “આવડા મોટા ગુના સામે વડાપ્રધાનનું મૌન અસ્વીકાર્ય છે. દેશના લાખો લોકોએ પોતાની મહેનતની કમાણી શ્રદ્ધાપૂર્વક મંદિરમાં દાન કરી છે, જેમાં કરોડો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા છે. આ મામલામાં જવાબદારી નક્કી કરવી એ સરકારની ફરજ છે.” આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે વ્હીસલબ્લોઅર્સે (માહિતી લીક કરનારાઓએ) ખુલાસો કર્યો કે રામ મંદિરમાંથી અંદાજે ૭ કરોડ રૂપિયાની રોકડ અને દાગીનાની ઉચાપત કરવામાં આવી છે. આ મામલો બહાર આવતા જ ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટના ખાતાઓ અને દાન ગણતરી રૂમની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ આ તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કટોકટીની કડીઓ મેળવીને ૮ લોકોની ધરપકડ કરી છે. જેમાં મંદિરના કર્મચારીઓ, બેંકના સ્ટાફ અને ટ્રસ્ટના અધિકારીઓના નજીકના સહયોગીઓ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની ગણતરી વખતે સુરક્ષામાં મોટી ખામીઓ રાખવામાં આવી હતી અને બિનઅધિકૃત લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રામ મંદિર ટ્રસ્ટે કડક વલણ અપનાવીને દાન ગણતરીના વિસ્તારોમાં બાયોમેટ્રિક ટ્રેકિંગ, સઘન તપાસ અને પોલીસ સુરક્ષા ફરજિયાત બનાવી દીધી છે.





