
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (ફય્ઇઝ્ર) ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન. ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, વૈશ્વિક ઉત્પાદનમાં ૮ ટકા હિસ્સો.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો ૨,૩૪૦.૬૨ કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ ૮૦ ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત થયું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં ૮ ટકા હિસ્સો ધરાવે છે. આંતરિક અને દરિયાઈ માછીમારી, જળચર ઉછેર, સીફૂડ પ્રોસેસિંગ, નિકાસ, માર્કેટિંગ, સંશોધન અને શિક્ષણ વગેરેને આવરી લેતો મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર દેશમાં લગભગ ૩૦ મિલિયન લોકોને આજીવિકા પૂરી પાડે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું સરેરાશ વાર્ષિક માછલી ઉત્પાદન લગભગ ૯.૩૦ લાખ મેટ્રિક ટન નોંધાયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે દરિયાઈ ઉત્પાદન ૮,૪૦,૦૬૯ મેટ્રિક ટન અને આંતરિક ઉત્પાદન ૩,૩૧,૨૮૪ મેટ્રિક ટન એમ કુલ ૧૧,૭૧,૩૫૩ મેટ્રિક ટનનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને રાજ્યના કુલ ઉત્પાદનમાં ૭૦ ટકા કરતાં વધુ યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો સૌથી મોટો ભૌગોલિક જિલ્લો કચ્છ લગભગ ૯ ટકા ફાળો આપે છે. વર્ષ ૨૦૨૪–૨૫ દરમ્યાન રાજ્યના દરિયાઈ ઉત્પાદન ૭,૬૪,૩૪૩ મેટ્રિક ટન રહ્યા હતા, જેમાંથી માત્ર સૌરાષ્ટ્રનો હિસ્સો ૫,૪૨,૩૩૩ મેટ્રિક ટન, જ્યારે કચ્છનો ૬૭,૫૪૭ મેટ્રિક ટન રહ્યો હતો. ગુજરાતના કુલ દરિયાઈ માછલી ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ ૮૦% છે. ૨૦૨૩–૨૪ની સરખામણીએ રાજ્યએ દરિયાઈ ઉત્પાદનમાં ૧૪ ટકા થી વધુનો વધારો નોંધાવ્યો છે, જે ૨૦૨૩-૨૪ માં ૭,૦૪,૮૨૮ મેટ્રિક ટન હતો.
આ પૃષ્ઠભૂમિમાં, રાજકોટ ખાતે જાન્યુઆરી ૨૦૨૬ના બીજા અઠવાડિયામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (ફય્ઇઝ્ર) સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના મત્સ્યક્ષેત્રની સફળતાઓ તથા ભાવિ તકો રજૂ કરવા માટે એક અગત્યનું મંચ બની રહેશે. પરિષદમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે મળી નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધનના નવા માર્ગોની ચર્ચા કરશે. ફય્ઇઝ્ર રાજકોટ દ્વારા દરિયાકાંઠાના વિકાસ, દરિયાઈ ઈકોસિસ્ટમના સંરક્ષણ અને ગુજરાતના વાદળી અર્થતંત્રને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવા રાજ્યની પ્રતિબદ્ધતા પુન:સ્થાપિત થશે.




