
યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારતે કશું ખોટું નથી કર્યું ભારતે નિયમો મુજબ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી : ફિનલેન્ડના વિદેશ મંત્રી ફિનલેન્ડના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના સમકક્ષ એલિના વાલ્ટોને રશિયા પાસેથી તેલ ખરીદી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને ભારતનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતે પશ્ચિમ દેશો દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મર્યાદા હેઠળ જ તેલની ખરીદી કરી છે. બીજીતરફ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ઊર્જા સુરક્ષા અને પશ્ચિમ દેશોના બેવડા વલણનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ફિનલેન્ડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફિનલેન્ડના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ‘પશ્ચિમ દેશો દ્વારા નક્કી કરાયેલી ભાવ મર્યાદાનો અર્થ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની સંપૂર્ણ ખરીદી બંધ કરવાનો નથી. હું ભારતના સમર્થનમાં એ કહેવા માંગું છું કે, ભારતે ભાવ મર્યાદા હેઠળ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે અને અમારો ઈરાદો પણ આવો જ હતો.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે અમે ક્રૂડ ઓઈલની કિંમતો પર ભાવ મર્યાદા લાગુ કરી હતી, ત્યારે અમે કોઈપણ દેશને રશિયા પાસેથી તેલ ખરીદતા અટકાવ્યા નથી. અમારી ભાવ મર્યાદાનો હેતુ ક્રૂડ ઓઈલના માર્કેટમાં અડચણો ઊભી કરવાનો નથી, પરંતુ અમારે એ સુનિશ્ચિત કરવું જરૂરી હતું કે, તેલનો સપ્લાય ચાલુ રહે અને રશિયા તેનાથી મોટી કમાણી ન કરે.
કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતની ઊર્જા પોલિસીનો મજબૂત બચાવ કર્યો છે. તેમણે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે થઈ રહેલી ટીકાને સંપૂર્ણ રદીયો આપી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘વ્યવહારિક કારણોને ધ્યાને રાખીને ઊર્જાની ખરીદી કરવામાં આવે છે, કોઈ રાજકીય દબાણ દ્વારા નહીં. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે ખર્ચ અને ઉપલબ્ધિના આધારે ક્રૂડ ઓઈલની ખરીદી કરીએ છીએ.’
તેમણે એ યાદ અપાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં રશિયા પર પ્રતિબંધ લાગ્યા બાદ વૈશ્વિક ઊર્જામાં મોટો ફેરફાર થયો હતો. યૂરોપીય દેશોએ મધ્ય-પૂર્વમાંથી (ભારતનું પારંપરિક સપ્લાયર) ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરી દીધી હતી. આવી સ્થિતિમાં માર્કેટમાં જે ક્રૂડ ઓઈલ હતું, તે મોટાભાગનું રશિયાનું હતું, તેથી તે પરિસ્થિતિ અમને એક નિશ્ચિત દિશામાં લઈ ગયું હતું. તે વખતે અમેરિકાએ ક્રૂડ ઓઈલ માર્કેટ સ્થિર કરવા માટે ખાસ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતું, તેથી આપણે એવો દેખાડો ન કરવો જાેઈએ કે, આમાં કોઈ મોટો સિદ્ધાંત સામેલ છે.’
રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતના વલણ પર યૂરોપીયન ટીકાકારોને જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘યુરોપિયન દેશો એવા હથિયારો વેચે છે, જેનો ઉપયોગ ભારત પર અનેક વર્ષો સુધી હુમલા માટે કરવામાં આવ્યો છે. અમે ભારતીયોએ ક્યારેય એવું કામ કર્યું નથી, જેનાથી યુરોપ ખતરામાં પડે, તેથી આવી વાતોને હંમેશા ધ્યાને રાખવી જાેઈએ.’





