
સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક ગુજરાતમાં બધું બરાબર કેમ નથી? લોકો કેમ પલાયન કરી રહ્યા છે? મહિલા અનામત મુદ્દે સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢી હતી શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લાવી દીધો છે. સુરત રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમજીવીની ભારે ભીડ અને પલાયનની સ્થિતિ મુદ્દે બોલતા રાઉતે ગુજરાતના મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આજે પણ સત્તાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે સર્જાયેલી અફરાતફરી અને શ્રમજીવીના પલાયન અંગે સંજય રાઉતે કહ્યું કે, મને ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જ ખબર નથી. આજે પણ ત્યાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ છે, એટલે સવાલો તેમને પૂછવા જાેઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં બધું બરાબર કેમ નથી? લોકો કેમ પલાયન કરી રહ્યા છે? લોકો ભૂખ્યા છે અને તેમની પાસે રોજગાર નથી. ઉલ્લેખનીય છે કે, ૧૯ એપ્રિલના રોજ સુરતમાં ઉધના સ્ટેશન પર ટ્રેન પકડવા માટે હજારોની ભીડ ઉમટી હતી. જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
મહિલા અનામત મુદ્દે સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર ૨૦૨૩ માં ફડણવીસે આને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. ૧૬ એપ્રિલ ૨૦૨૬થી આ કાયદો આખા દેશમાં લાગુ થઈ ગયો છે, તો હવે તમે કયા મહિલા અનામતની વાત કરી રહ્યા છો? રાઉતે આક્ષેપ કર્યો કે સરકાર મહિલાઓને ગુમરાહ કરી રહી છે.
મતવિસ્તારોની પુન:રચના એટલે કે સીમાંકન મુદ્દે રાઉતે કહ્યું કે, અમે સીમાંકનનો વિરોધ કર્યો છે કારણ કે સરકાર બિનકાયદેસર રીતે ૮૫૦ બેઠકો કરીને આખી જિંદગી સત્તામાં રહેવા માંગતી હતી, જે અમે થવા દીધું નથી. આ સાથે જ તેમણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો પણ દાવો કર્યો હતો.





