
અદ્ભુત નજારો રાત્રે આકાશમાં જાેવા મળશે ૩૧મી મેના રોજ આખા ગુજરાતમાં દેખાશે ‘બ્લુ મૂન’ આ બ્લુ મૂન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં દરેક જગ્યાએ દેખાશે
અંગ્રેજીમાં એક પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે –”Once in a blue moon”, જેનો અર્થ થાય છે ક્યારેક જ બનતી અતિ દુર્લભ ઘટના. આ રૂઢિપ્રયોગ જે ખગોળીય ઘટના પરથી આવ્યો છે, તે અદ્ભુત નજારો આગામી ૩૧ મેના રોજ રાત્રે આકાશમાં જાેવા મળવાનો છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આકાશમાં બ્લુ મૂન (Blue Moon) નો અનોખો નજારો જાેવા મળશે.
ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આ અદ્ભુત નજારો જાેવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી. આ બ્લુ મૂન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં દરેક જગ્યાએથી આકાશ ચોખ્ખું હશે તો નરી આંખે જાેઈ શકાશે.
ખગોળશાસ્ત્રીય ગણતરી મુજબ, ચંદ્ર ભારતીય સમયાનુસાર ૩૧ મે, ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૧૫ વાગ્યે તેની પૂર્ણ કળાએ (100% Illumination) પહોંચી જશે. પરંતુ એ સમયે ભારતમાં દિવસ હોવાથી, વાચકો માટે તેને જાેવાનો સૌથી શ્રેષ્ઠ સમય ૩૧ મેના રોજ સાંજે સૂર્યાસ્ત પછી (સાંજે ૭:૧૫ વાગ્યા પછી) જ્યારે ‘મૂનરાઇઝ’ (ચંદ્રોદય) થશે ત્યારનો રહેશે. આખી રાત આ અદ્ભુત નજારો આકાશમાં માણી શકાશે.
સામાન્ય રીતે લોકોને એવો ભ્રમ હોય છે કે બ્લુ મૂન એટલે ચંદ્ર વાદળી રંગનો દેખાશે, પરંતુ હકીકતમાં એવું નથી. આ અંગે ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના સંચાલક દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું છે કે, “ચંદ્ર ક્યારેક જ ખાસ વાતાવરણીય પરિસ્થિતિઓમાં વાદળી જેવો ભાસે છે. પરંતુ કેલેન્ડરના નિયમ મુજબ, જ્યારે એક જ અંગ્રેજી મહિનામાં બે પૂનમ આવે, ત્યારે બીજી પૂનમના ચંદ્રને બ્લુ મૂન કહેવામાં આવે છે.”
ચાલુ મે મહિનાની શરૂઆતમાં જ એટલે કે ૧/૫/૨૦૨૬ ના રોજ મહિનાની પહેલી પૂનમ હતી. હવે, મહિનાના અંતમાં એટલે કે ૩૧/૫/૨૦૨૬ ના રોજ બીજી પૂનમ આવી રહી છે, જેથી આ રાત્રિના ચંદ્રને બ્લુ મૂન કહેવાશે.
આ વખતની ઘટના બમણી ખાસ છે કારણ કે ૩૧ મેના રોજ ચંદ્ર પૃથ્વીથી તેના સરેરાશ અંતર કરતાં વધુ દૂર (આશરે ૨,૫૨,૩૬૦ માઇલ દૂર) હશે. આ કારણે તે સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં ૬% થી ૭% જેટલો નાનો અને થોડો ઝાંખો દેખાશે. આથી વૈજ્ઞાનિકો આને માઇક્રો બ્લુ મૂન પણ કહી રહ્યા છે.
આ એક અત્યંત અનોખી ઘટના છે જે દર અઢી વર્ષે (આશરે ૩૦ મહિનામાં) એકવાર બને છે. આ અગાઉ આવી ઘટના ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ જાેવા મળી હતી. હવે ૩૧ મે પછી આવી જ ઘટના અઢી વર્ષ બાદ, એટલે કે ડિસેમ્બર ૨૦૨૮ માં જાેવા મળશે.
કુદરતની આ અદ્ભુત અને વિરલ ઘટનાને જાેવા માટે કોઈ ટેલિસ્કોપની જરૂર નથી, તમે ખુલ્લા ધાબા પરથી કે અગાસી પરથી સાંજે ચંદ્રોદય સમયે પૂર્વ-દક્ષિણ દિશામાં આ સુંદર નજારો માણી શકો છો.





