
આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર‘ આખરે પૂર્ણ થયો છે. જાેકે, કથા અને દરબારની પૂર્ણાહુતિ બાદ પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. દરબારના છેલ્લા દિવસે મંત્રશક્તિના પ્રયોગો દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ સ્વયંભૂ ધૂણવા લાગતા અંધશ્રદ્ધા વિરોધી સંસ્થાઓ મેદાને આવી છે, જ્યારે આયોજકો આ ઘટનાઓને સનાતન ધર્મની પરંપરા ગણાવી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ અંગે કથાના મુખ્ય આયોજક મંગેશ દેસાઈએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “આદિ અનાદિ કાળથી મંત્ર શક્તિ દ્વારા આ બધું ચાલતું આવ્યું છે. પિતૃ કાર્યની જેમ અહીં પણ આત્માઓ આવી હોઈ શકે છે. મંત્રોચ્ચાર દરમિયાન આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભૂત-પિશાચનો સ્વીકાર કરાયો છે અને કોઈના શરીરમાં આવી શક્તિઓ પ્રવેશી શકે છે.” તેમણે ઉમેર્યું કે, ચર્ચ અને દરગાહોમાં પણ આવી ઘટનાઓ બને છે.
વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો.
બીજી તરફ, આ કાર્યક્રમનો પ્રબળ વિરોધ કરી રહેલા એડવોકેટ પુરુષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે આયોજકો હવે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે અને આ મામલો કોર્ટ સુધી લઈ જવાની વાત કહી છે. તેની સામે વિજ્ઞાન જાથા પણ કાયદાકીય હથિયાર સાથે મેદાને ઉતર્યું છે. જાથાના મતે ધૂણવું એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક માનસિક બીમારી છે.
વિજ્ઞાન જાથા આ મામલે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો ૨૦૨૪ની કલમ ૨(૧)છ અને કલમ ૩ (ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવી) હેઠળ ગુનો નોંધવા માટે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી આપશે. જાથાએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ૨૦૨૧ના ચુકાદાનો હવાલો આપી, વૈજ્ઞાનિક મિજાજને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ હાઈપ્રોફાઈલ જંગ હવે આગામી દિવસોમાં કાનૂની વળાંક લે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.





