તમિલનાડુ વિધાનસભામાં ભારે હોબાળો મુખ્યમંત્રી વિજયના ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ વિપક્ષનો વિરોધ રાજ્યના કાયદા પ્રધાન આર. ર્નિમલ કુમારે પણ મુખ્યમંત્રીના નિવેદનોનું સમર્થન કર્યું હતું અને આક્ષેપો સત્તાવાર દસ્તાવેજાે પર આધારિત હોવાનું જણાવ્યું હતું તમિલનાડુ વિધાનસભામાં મંગળવારે મુખ્યમંત્રી વિજય દ્વારા અગાઉના ડીએમકે શાસન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો. મુખ્યમંત્રીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દસ્તાવેજાેનો ઉલ્લેખ કરીને કોન્ટ્રાક્ટરો પાસેથી ‘પાર્ટી ફંડ’ તરીકે ૭.૫થી ૧૦ ટકા સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. આ નિવેદનો બાદ ડીએમકેના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.વિવાદની શરૂઆત સોમવારના વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી વિજયના ભાષણથી થઈ હતી. તેમણે અગાઉના ડીએમકે શાસન દરમિયાન મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એન્ડ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના કામોમાંથી કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડ વસૂલવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેમણે ED ના દસ્તાવેજાેનો આધાર ટાંક્યો હતો.
મુખ્યમંત્રીએ વીરનમ પાણી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપોને સરકારી દસ્તાવેજાે અને અહેવાલો સાથે જાેડીને રજૂ કર્યા હતા. રાજ્યના કાયદા પ્રધાન આર. ર્નિમલ કુમારે પણ મુખ્યમંત્રીના નિવેદનોનું સમર્થન કર્યું હતું અને આક્ષેપો સત્તાવાર દસ્તાવેજાે પર આધારિત હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના નિવેદનો સામે ડીએમકેના વ્હીપ ઈ.વી. વેલુએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ ટિપ્પણીઓને વિધાનસભાના નિયમોની વિરુદ્ધ ગણાવીને તેને ગૃહના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી.
જાેકે, વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકરે આ માંગ ફગાવી દીધી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતી અને સરકારી દસ્તાવેજાેનો જ ઉલ્લેખ કર્યો છે. તેથી નિવેદનોને નિયમવિરુદ્ધ ગણાવીને રેકોર્ડમાંથી હટાવવાની જરૂર નથી.
અધ્યક્ષના ર્નિણય બાદ પણ ડીએમકેના ધારાસભ્યોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. કેટલાક ધારાસભ્યો પોડિયમ પાસે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા અને મંજૂરી વગરના પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા. ગૃહના નેતા કે.એ. સેંગોટ્ટૈયનની ભલામણ અને ચેતવણી છતાં વિરોધ શાંત ન થતાં અધ્યક્ષે માર્શલોને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ વિરોધ કરી રહેલા ડીએમકેના ધારાસભ્યોને માર્શલો દ્વારા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન પણ ધારાસભ્યો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો.
આ સમગ્ર ઘટનાને પગલે તમિલનાડુ વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ તીવ્ર બન્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો, સરકારી દસ્તાવેજાેના ઉલ્લેખ અને વિપક્ષી ધારાસભ્યોને બહાર કાઢવાની કાર્યવાહી વચ્ચે ગૃહનું વાતાવરણ ગરમાયું હતું.




