
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર પોલીસ દ્વારા અત્યાચાર સામે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોળી, ઠાકોર તેમજ અન્ય પછાત સમાજના લોકો પર પોલીસ દ્વારા અન્યાય, બેરહેમીથી મારપીટ અને ખોટા કેસોના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં રાજકોટની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજકોટમાં કોળી સમાજના પત્રકાર યુવકને પોલીસ દ્વારા લોકઅપમાં લઈ જઈ બેરહેમીથી મારપીટ કરવામાં આવી. આ મામલે ડીસીપી જગદીશ બાંગરવા પર ગંભીર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું, જેમાં તેના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખવામાં આવ્યું અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે માનવતાની હદ વટાવતું કૃત્ય છે.
રાજુભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં પ્રભાવશાળી લોકો અને બિલ્ડર સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. તેમણે રાજકોટ પોલીસ વિભાગને અપીલ કરી કે પીડિતને સુરક્ષા આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને ફરજમાંથી દૂર કરવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો સમગ્ર ગુજરાતમાં સમાજના લોકો અને સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





