
ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર.અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ.૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.
૩૧મી ડિસેમ્બર સાંજે ૬:૦૦થી ૧લી જાન્યુઆરી વહેલી સવારે ૩:૦૦ વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી. જી. રોડ તમામ વાહનો માટે બંધ રહેશે તેમજ સી. જી. રોડની બંને બાજુએ પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાત્રે ૮ વાગ્યા પછી આ માર્ગ પર વાહનોની અવરજવર સદંતર બંધ કરવામાં આવશે.
વાહનચાલકો મીઠાખળી સર્કલ, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ રોડ અથવા નવરંગપુરા બસ સ્ટેન્ડથી કોમર્સ છ રસ્તાના માર્ગનો ઉપયોગ કરી શકશે.૩૧મી ડિસેમ્બર રાત્રે ૮:૦૦થી ૧લી જાન્યુઆરી મોડી રાત્રે ૩:૦૦ વાગ્યા સુધી જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન ક્રોસ રોડ સુધીનો રોડ બંને તરફથી બંધ રહેશે.
વાહનોને જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ થઈ તાજ સ્કાયલાઇન તરફ અને આંબલી ઓવરબ્રિજથી શિલજ સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
સમગ્ર શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. એસ.જી. હાઇવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને મંજૂરી મળશે. અન્ય વાહનોએ એસ.પી. રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાે કોઈ નાગરિક આ નિયમોનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ ઍક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરે અને સુરક્ષિત ઉજવણી માટે પોલીસ તંત્રને સહયોગ આપે.




