
ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી! ડીઝલની અછતના દાવા, પેટ્રોલ પંપ પર લાંબી કતારો જૂનાગઢના કેશોદ પંથકમાં પેટ્રોલ પંપ પર કલાકો સુધી ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા લોકોમાં ભારે રોષ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હાલ ડીઝલની ભારે અછત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. જૂનાગઢ, બનાસકાંઠા અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે લાંબી કતારો જાેવા મળી રહી છે.
જૂનાગઢના કેશોદ પંથકમાં ડીઝલની અછતને પગલે ખેડૂતો અને વાહનચાલકો ભારે પરેશાન છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. વાહનચાલકોને દિવસમાં બે-ત્રણ વાર પંપના ધક્કા ખાવા પડે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ટ્રેક્ટરોમાં પણ મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવે છે. આ અછતને કારણે ખેતીકામ અને પરિવહન વ્યવહાર પર માઠી અસર પડી છે.
બનાસકાંઠાના ધાનેરામાં પણ સ્થિતિ ગંભીર છે. અહીં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો આવતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ખેડૂતો અને વાહનચાલકોની લાંબી લાઈનોને નિયંત્રિત કરવા માટે પંપ માલિકે પોલીસની મદદ લેવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે મોડી રાત્રે આવેલો ડીઝલનો જથ્થો ગણતરીના કલાકોમાં જ વેચાઈ ગયો હતો, જેના કારણે અનેક ખેડૂતોએ ફરી એક પંપથી બીજા પંપ પર ભટકવાનો વારો આવ્યો છે.
કોડીનારના આલીદર ગામે છેલ્લા બે દિવસથી પંપો પર ડીઝલ ખાલી થઈ ગયું હતું. આજે ડીઝલની ગાડી આવતા જ વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટર અને કેન લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા. ખેડૂતોના મતે એક તરફ ખાતરમાં ભાવવધારો અને બીજી તરફ ડીઝલની આ તીવ્ર અછતને કારણે ખેતી કરવી અશક્ય બની રહી છે. આ અછત જાે લાંબો સમય ચાલશે તો આગામી દિવસોમાં કૃષિ ઉત્પાદન અને માલ-પરિવહન પર તેની ગંભીર અસરો જાેવા મળી શકે છે.





