વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જનો મામલો રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે, તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાની કડક નિંદા કરતા ગૃહ મંત્રાલય પાસે સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસના આ આક્રમક વલણને કારણે આ મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
દેશમાં પેપર લીક અને વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના એક દિવસ બાદ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સીધો સવાલ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો?
દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) સીધા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, “હું દિલ્હીમાં ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બર્બર હુમલાની જવાબદારી નક્કી કરવા માટે લખી રહ્યો છું.” સુરક્ષા દળોએ તે દિવસે કોઈ ઉશ્કેરાટ વગર પ્રદર્શનકારીઓ પર ક્રૂર લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસના ગોળા છોડ્યા હતા અને ઘાતક પેલેટ ગનનો પણ ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં સેંકડો વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને મહિલા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ ૧૯ વર્ષના વિદ્યાર્થી સાહિલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે પેલેટ ગન વાગવાથી તે ગંભીર પીડામાં છે અને સંભવત: પોતાની એક આંખ પણ ગુમાવી શકે છે. રાહુલ ગાંધીએ પત્રમાં અમિત શાહને નીચે મુજબના સવાલો પૂછ્યા છે. દિલ્હીમાં તૈનાત સુરક્ષા દળો અંતત તમને જવાબદાર છે, તેથી હું પૂછું છું કે ગૃહમંત્રી તરીકે શું તમે વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન સહિતના ઘાતક બળના ઉપયોગની મંજૂરી આપી હતી? જાે નહીં, તો આ આદેશ કોણે આપ્યો હતો? સાદા કપડામાં વિદ્યાર્થીઓને લાઠીઓથી મારતા નજરે પડતા લોકો પોલીસકર્મીઓ છે કે સ્વયંસેવકો? તેમને આની સત્તા કોણે આપી?
દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ ન કર્યાનો ઇનકાર કર્યો છે, પરંતુ મીડિયા અને પીડિતોના અહેવાલો સ્પષ્ટપણે તેનાથી થતી ગંભીર ઈજાઓ દર્શાવે છે. CRPF ના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું છે કે આંદોલન પૂરું થયા બાદ બળના ઉપયોગ અંગે વ્યાવસાયિક મૂલ્યાંકન કરવામાં આવશે. રાહુલ ગાંધીએ અંતમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકારની જવાબદારી છે કે તે પ્રદર્શનકારીઓની સમસ્યાઓનું સંવાદ દ્વારા નિરાકરણ લાવે.





