
રામ મંદિરમાં દાનની ચોરીના મામલે તપાસ ચાલી રહી છે PMO એ રામ મંદિરના દાનનો હિસાબ માગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપી ઈનકાર કરી દીધો PMO એ ભાજપ નેતા રજનીશ સિંહના પત્ર પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામ મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન અને બેંક ખાતાઓ અંગેની માહિતી માગી હતી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે હવે અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવામાં હેરાફેરી અને ચોરી મામલે નવો ખુલાસો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવેલા પત્ર પર SIT તપાસનો હવાલો આપીને નાણાકીય માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે.
PMO એ અયોધ્યાના સ્થાનિક ભાજપ નેતા રજનીશ સિંહ દ્વારા લખવામાં આવેલા પત્ર પર જ્યારે જિલ્લા વહીવટીતંત્રે રામ મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન, બેંક ખાતાઓ, જમીનની લેણદેણ અને સંપત્તિ અંગેની માહિતી માગી તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપીને પોતાની સંપત્તિની વિગતો આપવાનો ઈનકાર કરી દીધો છે.
ભાજપ નેતા રજનીશ સિંહે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો, દાન-ચઢાવો અને જમીનની ખરીદ-વેચાણમાં ગેરરીતિઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. રજનીશ સિંહે PMO પાસે માગ કરી હતી કે મંદિર ટ્રસ્ટને નિર્દેશ આપવામાં આવે જેથી તે અત્યાર સુધીના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતો જાહેર કરે.
રામ મંદિરમાં દાનની ચોરીના મામલાને લઈને ભાજપના સ્થાનિક નેતા ડૉ. રજનીશ સિંહે વડાપ્રધાન કાર્યાલયને બે વાર પત્ર લખ્યો હતો. રજનીશ સિંહે પહેલીવાર ૯ જૂનના રોજ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો હતો.
તેમણે માગ કરી હતી કે મંદિર ટ્રસ્ટને તેના શરૂઆતથી જ તેના નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓની તમામ વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવે. ત્યારબાદ તેમણે ૧૨ જૂને બીજાે પત્ર લખીને રામ મંદિરને આપવામાં આવેલા દાનને જાહેર કરવાની માગ કરી હતી. ૧૩ જૂને જીૈં્ની રચના કરી દેવામાં આવી હતી.
ભાજપના નેતાના પત્રની નોંધ લેતા PMO એ ફરિયાદ અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રને મોકલી. જિલ્લા વહીવટીતંત્રે આ મામલે શ્રી રામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૩ જૂને અયોધ્યાના એડીએમ (વહીવટ) વિશુ રાજાને લખેલા પત્રમાં એડીએમ (કાયદો-વ્યવસ્થા) ઈન્દ્રકાંત દ્વિવેદીએ કહ્યું કે તેમણે ફરિયાદમાં PMO દ્વારા માગવામાં આવેલી માહિતી માટે રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાયનો સંપર્ક કર્યો હતો.
અયોધ્યા એડીએમ (કાયદો-વ્યવસ્થા) ઈન્દ્રકાંત દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ચંપત રાયે એવું કહીને કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો કે, હાલમાં SIT તપાસ ચાલી રહી છે અને તપાસ પેનલ તમામ જરૂરી રેકોર્ડ અને માહિતી એકત્રિત કરી રહી છે. તેથી અત્યારે માગવામાં આવેલી માહિતી ન આપી શકાય.
ભાજપ નેતા રજનીશ સિંહ દ્વારા PMO ને મોકલવામાં આવેલી ફરિયાદમાં “સમર્પણ નિધિ” અભિયાન દ્વારા એકત્રિત ભંડોળ, વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત દાન, સોના, ચાંદી અને દાગીનાના રૂપમાં યોગદાન, બેન્ક ખાતા અને નાણાકીય વ્યવહારો, જમીન ખરીદી અને વેચાણ, મંદિર નિર્માણ અને વહીવટ પર ખર્ચ અને ઓડિટ અને નિરીક્ષણ અહેવાલો સહિત અનેક વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે.





